સુરત: ગુજરાતના સુરતમાં એક બદ્રીનારાયણ મંદિર આવેલું છે. જે અચાનક ચર્ચામાં આવ્યું છે જે ગુજરાતમાં આવેલા મોટા મંદિરના ટ્રસ્ટીઓએ નથી કરી બતાવ્યું તે આ મંદિરના ટ્રસ્ટીએ કરી બતાવ્યું છે. સુરતના બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટીએ વીજળીની બચત કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કર્યો છે.
સુરતના બદ્રીનારાયણ મંદિરના ધાબા પર અંદાજે રૂપિયા 25 લાખના ખર્ચે 50 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ અંગે બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી પ્રવીણચંદ્રના જણાવ્યું હતું કે, બદ્રીનારાયણ મંદિરમાં વીજળીનું બિલ ખૂબ વધારે આવતું હતું આ માટે અમે સૌર ઉર્જાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌર ઉર્જાના પ્રયોગથી પૈસાની બચત થાય છે. અગાઉ દર મહિને રૂપિયા દોઢથી બે લાખ રૂપિયાનું બિલ આવતું હતું જો કે હવે ઘટીને મહિને રૂપિયા અંદાજે 12 હજાર થઈ ગયું છે.
બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું કે, હવે દર મહિને જે પૈસાની બચત થાય છે તેનો ઉપયોગ અમે શિક્ષણ પાછળ કરીશું. અમે એક કોલેજની સ્થાપના કરી છે કે, જ્યાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવશે.