કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ફરી ગુરૂવારે ‘જયશ્રી રામ’ના નારા સાંભળતા જ ધૂંઆપૂંઆ થઈ ગયા હતા.
મમતા બેનર્જીનો કાફલો ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપાડામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો જોર જોરથી જયશ્રી રામ અને જય મોદીના નારા લગાવવા લાગ્યા હતા. જે
સાંભળીને મમતા બેનરજી ગુસ્સામાં આવી ગયા હતા. તેમણે ગુસ્સામાં કારની નીચે ઉતરીને નારા લગાવતા લોકો પાસે જઈને ધમકી આપી હતી કે ધરપકડ કરાવી દઈશ. મમતા લોકસભા ચૂંટણી પરિણામો પછી પોતાના પાર્ટી કાર્યકરો પર થયેલી કથિત ‘હિંસા’ના વિરોધમાં એક ધરણામાં ભાગ લેવા માટે નૈહાટી જઈ રહ્યા હતા.
મમતા બેનરજીએ કહ્યું, “મારી ગાડી પસાર થઈ રહી હતી અને આ લોકો જેમણે ભાજપનો હેન્ડબેન્ડ પહેર્યો છે, તેઓ મારી ગાડી આજુબાજુ ફરવા લાગ્યા હતા. આ બહારથી (અન્ય રાજ્ય)થી આવેલા છે. આ સ્થાનિક લોકો નથી.”
તેમણે જણાવ્યું કે તેમને હિન્દી બોલવાવાળાથી કોઈ મુશ્કેલી નથી. બેનરજીએ કહ્યું કે બહારથી આવીને આ લોકો આતંક ફેલાવી રહ્યા છે. આ લોકો રાજ્યના સંસાધનોનું યુઝ કરીને તેને અપમાનિત કરી રહ્યા છે. તેમણે પોલીસ કર્મચારીઓને કહ્યું કે આ લોકોની ઓળખ કરી તેના ઘરની તલાશી લે.
મમતાએ કહ્યું, “અમારો નારો જય હિંદ છે, ભાજપ કહે છે તે નહીં.” તેમણે કહ્યું કે ભાજપ 2021મા એક પણ વિધાનસભા સીટ જીતી શકશે નહીં. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પણ અમુક લોકોએ એક જગ્યાએ ‘જયશ્રી રામ’ના નારા લગાવતા મમતા ગુસ્સે થઈ ગયા હતા.