માતા બનશે દીકરીની શિષ્યા, જવલ્લે જોવા મળતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો
પાલડીની વિતરાગ સોસાયટીમાં દીકરી મહારાજ સાહેબના સાંનિધ્યમાં 43 વર્ષીય માતા 20 જાન્યુઆરીએ દીક્ષા લેશે. જવલ્લે જોવા મળતા કિસ્સામાં દીક્ષા લીધા બાદ દીકરી મહારાજની નિશ્રામાં માતા ધર્મનું જ્ઞાન મેળવશે. માતાની સાથે પિતા પણ તેમના ગુરુના સાંનિધ્યમાં દીક્ષા લઇ રહ્યા છે. 20 જાન્યુઆરીએ સુરત ખાતે દીક્ષાનો કાર્યક્રમ યોજાશે.
હાલ અમદાવાદમાં વરસીદાન વરઘોડો અને મહાપૂજાનો કાર્યક્રમ યોજાશે. વિતરાગ પરમાનંદ જૈન સંઘ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં દીક્ષાર્થીનો વરસીદાનનો વરઘોડો અને બહુમાનનો કાર્યક્રમ યોજાશે. પિતાનો અમદાવાદમાં જન્મ થયો અને હવે અહીંથી સંસારિક જીવન છોડી દીક્ષાર્થી બનશે.
વિતરાગ સોસાયટીમાં છેલ્લાં 50 વર્ષથી પરિવાર સાથે રહેતા 45 વર્ષીય મિતુલ જશવંતલાલ દોશી અને તેમનાં પત્ની અર્તિકા જશવંતલાલ દોશીની પુત્રી જિયાએ ડિસેમ્બર 2016માં 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી.
દરમિયાન દીકરી મહારાજના સાંનિધ્યમાં માતાએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પિતાએ પણ ગુરુદેવના સાંનિધ્યમાં ઓક્ટોબરમાં દીક્ષા પ્રદાન મુહૂર્ત કઢાવ્યું હતું. પાલડી વિતરાગ સોસાયટી ખાતે હાલ દીક્ષા અંગીકારનો કાર્યક્રમ ચાલુ છે.
પતિ-પત્ની 16 જાન્યુઆરીએ ગૃહત્યાગ કરશે. અમદાવાદથી સુરત જઇને 19મી જાન્યુઆરીએ રથયાત્રા અને ત્યાર બાદ 20મી જાન્યુઆરીએ નીતિ સંયમોધાન ખાતે દીક્ષા અંગીકાર કરશે. દીકરી મહારાજ સાહેબની નિશ્રામાં માતા હવે તેની શિષ્યા બનશે.