એક હમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક સગી માતાએ પોતાના પ્રેમી સાથે મળી 3 વર્ષના બાળકની ક્રુર હત્યા કરી નાખી છે. માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને ગેસ્ટહાઉસમાં મળવા ગઈ હતી. જ્યાં બંને મળી બાળકને ઝેર ભેળવીને દૂધ પીવડાવ્યું હતું. એટલું જ નહીં બેભાન બાળકની સામે જ નિષ્ઠુર માતા પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધી અંગતપળ માણતી રહી હતી. બાદમાં બાળકને બેભાન હાલતમાં ઘરે લાવી સૂવડાવાનું નાટક કર્યું હતું. બાદમાં પરિવારજનોએ બાળકને ઉઠાવવાનો પ્રયત્ન કરતાં ઉઠ્યું નહોતું. તેથી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યું હતું, જ્યાં માસૂમનો મોત નિપજ્યું હતું.
આ હચમચાવી દેતો બનાવ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં જ્યોતિ નામની યુવતીએ પ્રેમી ભુપેન્દ્ર સાથે મળી પોતાના 3 વર્ષના યુવી નામના બાળકને કાયમ માટે મોતની નિદ્રામાં સુવડાવી દીધો હતો.
દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે પોલીસ સૂત્રો મુજબ, ગેસ્ટ હાઉસમાં મૃતક બાળકની માતા પ્રેમી સાથે રંગરેલિયા માનવતી હતી ત્યારે બાળક સતત તેમને ખટકી રહ્યો હતો, જે માટે પ્રેમીએ પહેલેથી જ લાવેલું ઝેર દૂધમાં નાખી દીધું અને બાળકને બિસ્કિટ સાથે આપ્યું. આ દૂધ પીધા બાદ બાળક બેભાન થઈ ગયું પણ કપલ અંગતપળ માણી રહ્યું હતું ત્યારબાદ બાળકને બેભાન હાલતમાં લઈને માતા ઘરે ગઈ અને સુવડાવવાનું નાટક કર્યું.પરંતુ દાદા બાળકને રમાડવા ગયા તો બાળક હલ્યું નહીં. જેથી તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં બાળકનું મોત થયું હતું.
આ અંગે અજય પરમાર નામના યુવાને અમદાવાદના શહેર કોટડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યું છે કે મારું મૂળ વતન પાલનપુર તાલુકાનું વગદાના ગામે છે. મારા 13 વર્ષ પહેલા પાલનપુરના ભાગળ ગામની યુવતી જયોતિ સાથે જ્ઞાતિના રીત-રીવાજ મુજબ લગ્ન થયા હતા. મારા સસરા અમારા લગ્ન અગાઉ મૃત્યુ પામ્યા હોવાથી મારી પત્ની તેના મામાના ઘરે પાલનપુરના ઢેલાણા ગામમાં રહેતી હતી. લગ્ન બાદ મારી પત્ની મારા ઘરે અમદવાદમાં રતિલાલની ચાલીમાં રહેતી હતી અને આ લગ્નજીવન દરમ્યાન 2018માં અમારા ઘરે યુવી નામનો દીકરો થયો હતો.
આજથી દોઢેક વર્ષ પહેલા મારી પત્ની મોડીરાત સુધી મારા પિતાના ઘરે ના પહોંચતા મારા પિતાનો ફોન આવ્યો હતો, જેથી મેં મારા અન્ય સગા-સબંધીઓને મારી પત્ની બાબતે પૂછપરછ કરતા કોઈ હકીકત જાણવા મળી નહીં.બીજા દિવસે સવારે 7 વાગ્યે મારી પત્ની મારા પિતાના ઘરે ગામ-વગદામાં પહોંચી હતી. આ અંગે પત્ની જ્યોતિની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે, હું રાત્રે મીઠી વાવડી ગામના ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભરતભાઈ પરમાર સાથે હતી. ત્યારે મને જાણવા મળ્યું હતું કે મારી પત્નીને આ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર સાથે આડા સબંધ છે. પરંતુ જે તે સમયે મારી પત્નીએ તેની ભૂલ સ્વીકારી લીધી હતી.
આ બનાવના ત્રણેક મહીના પછી પણ મારી પત્નીને આ ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભરતભાઈ પરમાર સાથે સંપર્ક હોવાની મને શંકા જતા મેં તેને ઠપકો આપ્યો હતો. જેથી તે મારા દીકરા યુવીને મારા ઘરે મુકીને તેના મામાના ઘરે ઢેલાણા જતી રહી અને 15 દિવસ રોકાઇને પરત આવી. ત્યારબાદ પણ અમારે સમાધાન થયું. ત્યારપછી મારે ત્યાં સારી રીતે રહેતી હતી.
એકાદ માસથી મારા પિતા મારા ઘરે આવી અમારી સાથે રહેતા હતા. મારા દીકરા યુવીને હાલમાં તાવ આવ્યો હતો. પત્ની દવાખાને લઈ ગઈ હતી, સારું પણ થઈ ગયું હતું. બીજા દિવસે 6 ઓગસ્ટે મારી પત્ની સિવિલ હોસ્પિટલ બતાવવા જવું છે એવું કહીને દીકરાને લઈ ગઈ હતી. સાંજના સમયે તે પાછી આવી હતી. તેણે દીકરા યુવીને ઘરે સુવડાવ્યો. જેથી મારા પિતાએ મારા દીકરા યુવીના હાલચાલ પૂછતા તે કંઈ બોલતો નહોતો. જેથી મારા પિતાએ મારા દીકરાને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં તેને આઇસીયુમાં રાખ્યો હતો. મારી પત્નીનો ફોન આવતા હું મારા શેઠ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ ડૉક્ટરોએ મારા દીકરાને મૃત જાહેર કર્યો હતો. મારા દીકરાનું મૃત્યુ ઝેરના લીધે થયું હોવાનું મૌખિક જણાવ્યું હતુ.
બાદમાં દીકરા યુવીની અમારા ગામ વગદામાં અંતિમવિધિ કરી કરવામાં આવી હતી. અંતિમવિધિ બાદ મારા દીકરાનો રિપોર્ટ આવ્યો. જેમાં ઝેર પીવાના કારણે મારા દીકરાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું. મને તથા મારા પરિવારના સભ્યોને શંકા જતા મારા બનેવી મુકેશભાઈએ મારી પત્નીને આ બાબતે વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે બધી હકીકત જણાવી દીધી ગતી.
અજય પરમારે કહ્યું કે મારી પત્ની જ્યોતિએ જણાવ્યું કે 6 ઓગસ્ટે મને ભરત પરમારનો ફોન આવ્યો અને તેણે મને યુવી સાથે મળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી અને હું ત્યાં યુવી સાથે ગઈ હતી. ત્યારબાદ અમે સિવિલ હોસ્પિટલની નજીકમાં આવેલા નાગેશ્વર ગેસ્ટ હાઉસમાં ગયા અને ત્યાં રૂમ નં.12માં અમે રોકાયા હતા. અમે બન્ને જ્યારે જ્યારે મળીએ ત્યારે આ મારો દીકરો મારા તથા ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરત વચ્ચેના સબંધમાં નડતર રૂપ હોવાથી અને એક બીજાને છૂટથી મળી શકીએ તે માટે મેં મારા દીકરાને અમારા વચ્ચેથી હટાવી દેવાના ઇરાદા સાથે ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતસાથે યોજના બનાવી હતી. નક્કી કર્યા પ્રમાણે ભરતે યુવી માટે એક ગ્લાસમાં દૂધ અને બિસ્કીટ લઈ આવી અને તેમાં ઝેર ભેળવી દીધું. તે દૂધ મારા દીકરાને પીવડાવ્યું. ત્યારબાદ યુવી બેભાન થઈ ગયો હતો. આ હકીકત મારી પત્નીએ મારા બનેવી મુકેશભાઈને જણાવી હતી.