કાનપુરમાં જેલમાંથી જમાનત પર છૂટેલ એક યુવાનનું અડધું બળેલું શબ 18 સપ્ટેબરે સચેંડી વિસ્તારની ઝાડીઓમાં પડેલું મળ્યું. આ એ જ વ્યક્તિ હતો, જેની મહિલા મિત્રનું શબ આ જ રીતે બળેલી સ્થિતિમાં ચકેરીના રેલવે ક્રોસિંગ પાસે 25 ઑક્ટોબર 2021 ના રોજ મળ્યું હતું. આ કેસ અંતર્ગત પોલીસે તેને અને તેની એક મહિલા મિત્રને જેલમાં મોકલ્યાં હતાં. મૃતકનાં પરિવારજનોએ એ યુવતીનાં પરિવારજનો પર હત્યાનો આરોપ મૂક્યો છે, જેની હત્યા બાબતે તે જેલમાં ગયો હતો. શિવકટરા ચકેરીનો રહેવાસી અમિત કુમાર (28) આરઓ લગાવવાનું કામ કરતો હતો. અમિતનાં પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે, શનિવારે બપોરે લગભગ અઢી વાગે તેણે કહ્યું હતું કે, યશોદા નગરથી આરઓ સંબંધિત એક ફરિયાદ છે. આ માટે જ તે જઈ રહ્યો હતો. ત્યારબાદ તે પાછો ન આવ્યો. મોડી રાત્રે નૌબસ્તા પોલીસે લાપતાની ફરિયાદ નોંધી તેની તપાસ શરૂ કરી હતી. 18 સપ્ટેબરે સવારે સચેંડીના ઘૈલામઉ ગામ પાસે ઝાડીઓમાં અમિતનું અડધું બળેલું શબ પડેલું મળ્યું.
જ્યોતિ મિશ્રાના મૃત્યુ સાથે કનેક્શન, તેનાં પરિવારજનો પર આરોપ
25 ઑક્ટોબર, 2021 એ ચકેરીના ગિરજા નગરની નિવાસી જ્યોતિ મિશ્રા લાપતા થઈ ગઈ હતી. બીજા દિવસે ચકેરીમાં જ રેલવે ટ્રેક પાસે જ્યોતિનું અડધું બળેલું શબ મળ્યું હતું. પોલીસે અમિત અને તેની પ્રેમિકા વિમલને જેલમાં મોકલ્યાં હતાં.
પહેલાં હત્યાની ધારામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચર્ચા-વિચારણા બાદ હત્યાની ધારા 306 (આત્મહત્યા માટે ઉકસાવવી) માં બદલવામાં આવી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, અમિત અને વિમલ દ્વારા હેરાન કરવાના કારણે જ્યોતિએ જાતે જ પોતાને આગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસ બાબતે અમિત જમાનત પર બહાર હતો. અમિતની હત્યા બાદ તેનાં પરિવારજનોએ જ્યોતિનાં પરિવારજનો પર હત્યા કરી શબને આગ લગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ જ આધારે તપાસ ચાલું છે.
આ કારણે બદલી હતી ધારા
પોલીસે હત્યાના સાક્ષી ન મળવાનો દાવો કર્યો હતો. તો જ્યોતિએ તેની માતાના મોબાઈલથી અમિતને એક વૉટ્સએપ મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, હું તો આ દુનિયા અને બધું જ છોડીને જઈ રહી છું. જો તારામાં હિંમત હોય તો આ દુનિયાને કહેજે કે હવસ તારા મનમાં આવી હતી. તે મારી સાથે ખોટું કર્યું. એક પ્રેમિકા હોવા છતાં બીજી છોકરી માટે લાલચ થઈ હતી.
મારા બાપને ક્યારેય તારો ચહેરો ન બતાવતો. હું નથી ઈચ્છતી કે, તેમની દીકરીનો હત્યારો ક્યારેય તેમને પોતાનો ચહેરો બતાવે. આ મેસેજ જેને પણ મોકલવો હોય તેને મોકલી દેજે… આ મેસેજના આધારે હત્યાની ધારા દૂર કરી આત્મહત્યાની દુષ્પ્રેરણાની ધારા લગાવવામાં આવી હતી.