Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratરિસાઈને આવેલી પત્નીને પતિએ પિયરમાં જ રહેંસી નાખી, ગુજરાતની હચમચાવતી ઘટના

રિસાઈને આવેલી પત્નીને પતિએ પિયરમાં જ રહેંસી નાખી, ગુજરાતની હચમચાવતી ઘટના

આણંદ : સોજિત્રા તાલુકાના મઘરોલ ગામે પતિથી રીસાઈને પિયરમાં આવેલ પત્નીને આજે પતિએ જાહેરમાં ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાખતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા પચ્ચીસેક દિવસથી પતિ સાથે કોઈ બાબતે તકરાર થતા પત્ની પોતાના પિયર આવી ગઈ હતી. જેની રીષ રાખી પતિ આજે પિયરમાં આવ્યો હતો અને સાસુના દેખતા જ પત્ની ઉપર તુટી પડી હત્યા કરી નાખી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામે વણકરવાસમાં રહેતા ભારતીબેનને કેટલાક વર્ષો પૂર્વે મઘરોલ ગામે રોહિતવાસમાં રહેતા ભરતભાઈ જેઠાભાઈ રોહિત સાથે આંખ જતા વર્ષ ૨૦૦૪માં પ્રેમલગ્ન થયા હતા. પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની બંને આણંદ તાલુકાના ગાના ગામે રહેતા હતા. દરમ્યાન લગ્ન જીવનથી તેઓને સંતાનમાં એક દિકરી તથા દિકરાની પ્રાપ્તિ થઈ હતી. જો કે પતિ ભરતભાઈ રોહિત દારૂ પીવાની લતવાળા હોઈ છેલ્લા કેટલાક દિવસથી ભરતભાઈ રોહિત દારૂ પીને ભારતીબેનને મારઝુડ કરી ઝઘડો કરતા હોય ભારતીબેન પચ્ચીસેક દિવસ પૂર્વે સાસરીમાંથી રીસાઈને મઘરોલ ગામે વણકરવાસમાં રહેતા પોતાના માતાના ઘરે આવી ગયા હતા.

દરમ્યાન આજે સવારના સુમારે ભરતભાઈ રોહિત ભારતીબેનને ઘરે લઈ જવા માટે મઘરોલ ગામે વણકરવાસ ખાતે આવ્યા હતા. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેમાં ભારતીબેનના માતા કાશીબેન પણ ઝઘડામાં વચ્ચે પડયા હતા. દરમ્યાન આ તકરારે ઉગ્ર સ્વરૂપધારણ કરતા ઉશ્કેરાઈ ગયેલ ભરતભાઈ જેઠાભાઈ રોહિત ભારતીબેનને ઢસડીને ઘરની બહાર લઈ ગયો હતો અને ગળા તેમજ પેટના ભાગે ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. બીજી તરફ કાશીબેનને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ચપ્પાથી હુમલો કર્યા બાદ પતિ ભરતભાઈ રોહિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ સવારના સુમારે બનેલ આ ઘટનાના પગલે અડોશપડોશના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે ગળાના ભાગે ચપ્પાના ગંભીર ઘા થવાના કારણે ભારતીબેનનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. આ ઘટનાની જાણ સોજિત્રા પોલીસને થતાં સોજિત્રા પોલીસ સહિત ખંભાત ડીવાયએસપીની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે સોજિત્રા પોલીસે દીનાબેન જ્યંતિભાઈ વાઘેલા (રહે.સુણાવ)ની ફરિયાદના આધારે ભરતભાઈ જેઠાભાઈ રોહિત વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પતિ દારૂની લતે ચઢી જતા ઘરમાં કંકાસ થતો
મળતી માહિતી મુજબ મઘરોલ ગામે વણકરવાસમાં રહેતા ભારતીબેનને નજીકમાં જ રહેતા ભરતભાઈ જેઠાભાઈ રોહિત સાથે આંખ મળી ગઈ હતી. દરમ્યાન વર્ષ ૨૦૦૪માં તેઓએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે તેઓને સંતાનમાં એક દિકરી અને એક દિકરાની પ્રાપ્તિ થઈ હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી પતિ દારૂની લતે ચઢી જતાં બંને વચ્ચે અવારનવાર થતાં ઘરકંકાસને લઈ લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું હતું.

પત્નીને મનાવવા પ્રયાસ કર્યો છતાં નહીં માનતા હત્યા કરી
છેલ્લા પચ્ચીસેક દિવસથી રિસાઈને પિયર ગયેલ પત્ની ભારતબેનને મનાવવા માટે ભરતભાઈએ અવાર-નવાર પ્રયત્નો કર્યા હતા. પરંતુ પત્ની એકની બે ન થતાં આજે સવારના સુમારે ભરતભાઈ રોષમાં આવી જઈ ચપ્પા સાથે સાસરીમાં પહોંચ્યો હતો. જ્યાં સાસુ તથા પત્ની સાથેની વાતચીતે ઉગ્ર સ્વરૂપધારણ કરતા પિત્તો ગુમાવી બેઠેલ ભરતભાઈએ પોતાની સાથે રાખેલ ચપ્પા વડે પત્ની ઉપર હુમલો કર્યો હતો.

છેલ્લાં 25 દિવસથી પત્ની પિયરમાં હતી
છેલ્લા પચ્ચીસેક દિવસથી પિયર ચાલી ગયેલ ભારતીબેનને ઘરે લાવવા માટે મઘરોલના વણકરવાસ ખાતે પહોંચેલ ભરતભાઈ રોહિતે પત્નીને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તકરાર થતાં ઉશ્કેરાઈ ગયેલ ભરતભાઈએ ભારતીબેનને ગળાના ભાગે એક તથા પેટના ભાગે બે થી ત્રણ મળી ચપ્પાનાં કુલ ત્રણ થી ચાર ઘા ઝીંકી દેતા ભારતીબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયા હતા અને તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page