એક ખૂબ જ હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેના કારણે ઘરનો ચુલ્હો સળગતો હતો. જે પૈસા કમાઈને લાવતી હતી તો માતાની દવાઓ આવતી હતી. જેના કારણે ઘરનું ગુજરાન ચાલતું હતું એ જ 28 વર્ષની દીકરીનું હાર્ટ અટેકથી મોત થયું હતું. એક માત્ર કમાનાર દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘરમાં વૃદ્ધ માતા-પિતા અને મંદ બુદ્ધિ ભાઈ રડી રડીને બેહાલ થઈ ગયા હતા. એટલું જ નહીં વિધિની વક્રતા તો જુઓ દીકરીના મોત બાદ પરિવારજનો પાસે તેના અંતિમ સંસ્કારના પણ પૈસા નહોતા. દીકરીનો મૃતદેહ રઝળી પડ્યો હતો. આ કિસ્સો વાંચીને ભલ ભલા લોકો રડી પડ્યા હતા.
માત્ર 28 વર્ષની દીકરીનું હાર્ટઅટેકથી મોત
આ અંદરથી હચમચાવી દેતો કિસ્સો રાજસ્થાનના અલવરનો છે. શનિવારે માત્ર 28 વર્ષની અનુરાધા નામની યુવતીનું હાર્ટઅટેકથી મોત થયું હતું. અનુરાધા જયપુરમાં એક ટેલિકોમ કંપનીમાં 10 હજારની મામૂલી નોકરી હતી. છેલ્લાં 6 મહિનાથી કમર દર્દના કારણે તે કામ પર જઈ શકતી નહોતી. ઘરની સ્થિતિ એટલી ખરાબ હતી કે અનુરાધા કમાતી હતી તો ઘરમાં રાશન આવતું હતું.
પરિવાર પર તૂટી પડ્યું આભ
અનુરાધા છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતી. જયપુરથી થોડાક દિવસ પહેલા તે અલવર આવી પોતાના ઘરે રહેતી હતી. દરમિયાન શનિવાર બપોરે અનુરાધાની છાતીમાં દર્દ ઉપડતાં પરિવારજનો તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આખું ઘર જેના પર ચાલતું હતું એ દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
લાડકવાયી દીકરીના અંતિમ સંસ્કારના પૈસા નહોતા
દીકરી અનુરાધાના નિધન બાદ પરિવારની હાલત એટલી ખરાબ હતી કે અંતિમ સંસ્કારના પૈસા પણ નહોતા. સંકટના આ સમયે પરિવાર ખૂબ મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. આ વાતની ખબર પડતાં જ સમાજના લોકો આગળ આવ્યા હતા. સમાજના લોકોએ બીજા દિવસે રવિવારે ફાળો એકઠો કરી અનુરાધાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
બેક પેઈનના કારણે નોકરી છૂટી અને…
અનુરાધા 12મા ધોરણ સુધી ભણેલી હતી. અનુરાધાનો ભાઈ મેન્ટલી વીક છે. એટલા માટે પરિવારની ખર્ચની જવાબદારી તેના ખંભા પર હતી. અનુરાધાએ છ વર્ષ પહેલાં એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરતી હતી. ત્યાર બાદ નાની-મોટી નોકરી કરી પરિવારજનોનો ખર્ચ ઉપાડતી હતી. ત્યાર બાદ તેણે જયપુરમાં ટેલિકોમ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવની નોકરી કરી હતી. છેલ્લાં છ મહિનાથી બેક પેઈનના કારણે તે કામ પર જઈ શકતી નહોતી. આ દરમિયાન તેના પિતા એક મેડીકલ સ્ટોરમાં 5 હજારની નોકરી કરી ઘર ખર્ચો ઉપાડતા હતા.
વૃદ્ધ માતા-પિતા અને મંદબુદ્ધિ ભાઈનું કોણ?
સિંધી સમાજના પ્રતિનિધી રમેશચંદ્રેએ જણાવ્યું હતું કે અનુરાધાના મોત બાદ તેના પરિવારની હાલત ખરાબ હોવાની વાત અમને ખૂબ મોડી ખબર પડી હતી. ખબર પડ્યા બાદ સમાજના લોકોએ પૂરો સહયોગ કર્યો હતો. આ અંગે સંબંધી અનિલનું કહેવું છે કે અનુરાધાનો ભાઈ મંદબુદ્ધિ છે. તેને પેન્શન મળવું જોઈએ, જેથી પરિવારનું ઘર ચાલે. અનુરાધા જેવા જ અન્ય લોકોનો સર્વે કરાવી સરકારે જરૂરિયાતમંદ તમામ લોકોને મદદ કરવી જોઈએ.
જ્યારે કલેક્ટરનું કહેવું હતું કે આ અંગે અમને કોઈએ માહિતી આપી નહોતી, નહીંતર અમે અમારી રીતે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી આપેત. સરકારની સૂચના છે કે કોઈના અંતિમ સંસ્કારમાં કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ.