નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ 3 મોટા નિર્ણયો લીધા છે. હવે દેશના તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત હવે 12 કરોડ ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપવાના હતાં પરંતુ હવેથી તે સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને 15 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ મળશે.
નવી સરકાર બન્યા બાદ મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. વડાપ્રધાનના મંત્રી મંડળે શુક્રવારે બપોરે વિધિવત્ત રીતે પોતાના ખાતાઓના ચાર્જ સંભાળ્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ સિવાય મોટા ભાગના કેબિનેટ મંત્રીઓએ પોતાની ઓફિસમાં જઈને ચાર્જ સંભાળી લીધો હતો.
મંત્રીઓએ ચાર્જ સંભાળ્યા બાદ મોદી સરકારના પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી સહીત અને તેમની મંત્રી મંડળના સભ્યો આ બેઠકમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
લોકસભાની ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે ખેડૂતો માટે દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ચાર હજાર રૂપિયા સુધીની ચુકવણી તો કરી દેવામાં આવી છે. આ રકમ ખેડૂતોના સીધા બેંક ખાતામાં જ જમા કરાવવામાં આવી હતી.