ગુજરાતના એક પરિવારે પુત્રના લગ્નમાં એવો નિર્ણય લીધો છે કે કદાચ આજ સુધી કોઈ પરિવારે આવું વિચાર્યં નહીં હોય. આ પરિવારે કંકોત્રીમાં એવો મેસેજ લખાવ્યો છે કે ‘‘અમારા પુત્રના લગ્ન પ્રસંગે આપના તરફથી આપવામાં આવેલી ચાંલ્લાની રકમમાં અમે એટલી જ રકમ ઉમેરીને સામાજિક સેવામાં વાપરીશું. આ અમારો એક ઉમદો કાર્યની પ્રેરણાનો નાનકડો પ્રયાસ છે.’’
ભાવનગર જિલ્લાના તણસા ગામના ઉમાણી પરિવારે આ ખૂબ જ ઉમદા કાર્યની શરૂઆત કરી છે. ઉમાણી પરિવારના મોભી જાહિદભાઈ ઉમાણીએ કહ્યું હતું કે મારા પુત્ર મિનિષ ઉમાણીના 30 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર સિકંદરભાઈની પુત્રી સુમન સાથે લગ્ન નિર્ધારીત કરવામાં આવ્યા છે.
જાહિદભાઈએ કહ્યું હતું કે તાજેતરમાં હું, મારી પત્ની અને મારો પુત્ર કારમાં જઈ રહ્યા હતા ત્યારે દીકરા મનિષે કહ્યું કે લગ્નમાં રિર્ટન ગિફ્ટ આપવી જોઈએ. તો મેં એમ કહ્યું કે આપણે કંકોત્રીમાં ચાલ્લાં પ્રથા બંધ હોવાનું લખવાના છીએ તો રિર્ટન ગિફ્ટની વાત ક્યાં આવી? ત્યારે વાત વાતમાં મને એવો વિચાર આવ્યો કે એવું કામ કરીએ કે ચાંલ્લો આપનાર પણ ખુશ થાય અને આપણે પણ રાજી રહીએ તેમજ સમાજના અન્ય લોકોને પણ ફાયદો થાય. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે લગ્નમાં મહેમાનો જેટલો ચાંલ્લો આપે, તેટલી બીજી રકમ ઉમેરીને જે રકમ ભેગી થાય એ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓને દાન કરી દઈશું.
જાહિદભાઈએ કહ્યું હતું કે ચાંલ્લો આપનારને પણ એવું ફીલ થશે કે ચાલો આપણી રકમ કોઈ સારા કામમાં વપરાશે અને પૂણ્ય મળશે. જ્યારે અમને એવી લાગણી થશે કે બધાના સહિયારા પ્રયાસથી એક સમાજ ઉપયોગ કામ થઈ શકશે.
જાહિદભાઈ ઉમાણીએ કહ્યું કે મારી પોતાની બે ફેક્ટરી છે અને 25 વર્ષથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવું છું ઉપરાંત અનેક સમાજિક કાર્ય કરું છું. પૈસે ટકે સક્ષમ છું એટલે આટલી રકમ તો હું જાતે પણ દાન કરી શકું છે. પરંતુ ચાંલ્લાના બહાને લોકો પણ સદકામમાં જોડાઈ એટલે ખોટું કરવાનો સવાલ જ નથી. બીજું કે દરેક દાનની રસીદની માહિતી જેને જોઈતી હશે તેને મળી શકે.
જાહિદભાઈ નામ મુસલમાન જેવું લાગે છે અને પુત્રનું નામ મનિષ હિન્દુ જેવું લાગે છે તો સાંભળવામાં કોઈ ભૂલ તો નથી ને? જેના જવાબમાં તેમણે કહ્યું કે અમે સિનિર આગાખાન ઈસ્માઈલ ખોજા છીએ. અમારા વડવાઓ લોહાણા સમાજમાં હતા અને અમે ખોજા બન્યા, પણ મારા પિતાનું નામ બાબુલાલ છે.