Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપતિએ જ પત્ની અને દીકરીનું માથું વાઢીને કરી હત્યા, ઘટનાસ્થળેથી મળી એક...

પતિએ જ પત્ની અને દીકરીનું માથું વાઢીને કરી હત્યા, ઘટનાસ્થળેથી મળી એક ચિઠ્ઠી

બિહારના મધેપુરામાં એક પતિએ તેની પત્ની અને દીકરીનું માથું વાઢીને તેમની હત્યા કરી દીધી છે. એટલું જ નહીં, આરોપી પત્નીનું કપાયેલું માથું લઈને તેના સાસરે પહોંચ્યો હતો અને ઘરેથી 200 મીટર દૂર એક પુલ પર રાખીને ભાગી ગયો હતો. કપાયેલા માથા નીચે એક ચિઠ્ઠી પણ મૂકી હતી. મધેપુરામાં આરોપીના ઘરમાં પત્નીનું ધડ પડ્યું હતું અને દીકરીનું કપાયેલું માથું ટેબલ પર મૂક્યું હતું. માનવામાં આવે છે કે પત્નીના આડાસંબંધોને કારણે પતિએ આ બંનેની હત્યા કરી હતી.

શનિવારે સવારે આરોપી પતિ મહિલાનું કપાયેલું માથું લઈને તેના મધેપુરવાળા ઘરેથી લઈને તેના સાસરે ગોઢઈલા ગામ પહોંચ્યો હતો. મહિલાના પિયરના ઘરના 200 મીટર પહેલાં એક પુલ પર પતિ આ કપાયેલું માથું મૂકી ભાગી ગયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ મહિલાનું કપાયેલું માથું જોયું તો આખા ગામમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાનું કપાયેલું માથું લઈને તેના સાસરે માધેપુરવાળા ઘરે પહોંચ્યો તો જોઈને દંગ રહી ગયા હતા. ત્યાં દીકરીનો મૃતદેહ પણ મળ્યો હતો.

પત્ની અને દીકરીની હત્યા પછી પતિ ટ્રેનથી ક્યાંક ભાગી ગયો છે. મૃતકોની ઓળખ મો. જિબ્રાહિલની પત્ની રુકસાના (ઉંમર 30 વર્ષ) અને દીકરી જિયા (4 વર્ષની) તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી એક લોહીવાળી ચિઠ્ઠી પણ મળી છે. એમાં અમુક વિવાદાસ્પદ વાતો લખી છે અને સાથે લખ્યું છે શાનદાર, જબરદસ્ત. પિયરના લોકોનું કહેવું છે કે જિબ્રાહિલ અને રુકસાનાના નિકાહ 12 વર્ષ પહેલાં થયા હતા. નિકાહ પછી 3 બાળક પણ હતાં. બે દીકરા તેમના કાકાના ઘરે રહીને ભણતા હતા, જ્યારે દીકરી માતા-પિતા સાથે માધેપુરવાળા ઘરે રહેતી હતી. લગ્ન પછી નાની-મોટી વાતે પતિ-પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા.

જિબ્રાહિલ બીજા રાજ્યમાં સિલાઈકામ કરતો હતો. એનાથી જ ઘર ચાલતું હતું. તે વચ્ચે વચ્ચે ઘરે આવતો હતો. ગયા વર્ષે તે ઘરે આવ્યો પછી કામ પર નહોતો ગયો. સ્થાનિક લોકોનું કહેવું છે કે જિબ્રાહિલ તેની પત્ની પર શંકા કરતો હતો. આ વાતે ઘણી વખત વિવાદ થતો હતો. શંકા છે કે શુક્રવારે રાતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર પછી તેણે પત્ની અને દીકરીની હત્યા કરી દીધી હતી.

મૃતક રુકસાનાના ભાઈએ કહ્યું હતું કે મારી બહેનની હત્યા કેમ કરાઈ એનું હજી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. પિતાનું કહેવું છે કે તેમનો જમાઈ ખૂબ બદમાશ હતો. તે સતત તેની છોકરીને પરેશાન કરતો હતો. તેથી જ મારી દીકરી તેના પતિ સાથે સાસરે જવા નહોતી માગતી.

આ જ કારણથી તે 15 દિવસ પહેલાં જ પિયર આવી ગઈ હતી, પરંતુ જ્યારે પતિ તેમના ગામના અમુક લોકો સાથે આવ્યો ત્યારે તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની દીકરી સાથે કોઈ ખરાબ વર્તન કરવામાં નહીં આવે, તેથી અમે અમારી દીકરીને સાસરે મોકલી. દીકરીને સાસરે મોકલ્યાના પછીના દિવસે અમે અમારા નાના દીકરાને પણ ત્યાં મોકલ્યો હતો, પરંતુ ત્યારે ત્યાનું વાતાવરણ બધું યોગ્ય લાગ્યું હતું, પરંતુ હવે આજે સવારે જ દીકરી અને પૌત્રીની હત્યાના સમાચાર મળ્યા.

ઘટનામાં મધેપુરા SP રાજેશ કુમારે જણાવ્યું હતું કે મા-દીકરીના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા છે. શંકા છે કે ઘરના ઝઘડામાં પતિએ બંનેની હત્યા કરી દીધી છે. આરોપીને શોધવામાં આવી રહ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના વિશે અમુક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page