ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત થયો છે. એમાં 5 લોકો આગમાં ભડથું થઈ ગયા છે. ઘટના રજપ્પા પોલીસ સ્ટેશનના ક્ષેત્ર હેઠળ આવતા NH-23ના મુરુબંદા વિસ્તારની છે. અહીં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર અને બસની ટક્કર થઈ ગઈ અને કારમાં આગ લાગી ગઈ હતી. આગ જોઈને બસમાં સવાર મુસાફરો બારીમાંથી કૂદીને ભાગ્યા હતા. કારમાં સવાર 5 લોકોને તો નીકળવાની તક પણ ન મળી. ઘટનાના એક કલાક પછી ફાયરબ્રિગેડની ગાડી આગ પર કાબૂ મેળવવા પહોંચી, ત્યાં સુધી કારમાં સવાર 5 લોકો આગમાં ભડથું થઈ ગયા હતા. બસનો પણ અડધો ભાગ બળી ગયો છે. હજી સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
ઘટનાસ્થળ પર હાજર ગ્રામીઓએ જણાવ્યું હતું કે મહારાજા બસ ધનબાદથી રાંચી તરફ જઈ રહી હતી અને કાર રાંચી તરફથી આવી રહી હતી. કાર ખૂબ જ સ્પીડમાં હતી. મુરુબંદા પાસે ડ્રાઈવરનું બેલેન્સ બગડતાં કાર રસ્તા પર લેફ્ટ એન્ડ રાઈટ થઈ રહી હતી. બસ-ડ્રાઈવરે કારને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. કાર સાથે બસ-ડ્રાઈવરે પણ પોતાની સાઈડ બદલી, પરંતુ કારની ઝડપ વધારે હોવાથી કાર પૂરપાટ ઝડપે બસ સાથે ટકરાઈ અને થોડી જ ક્ષણોમાં કારમાં આગ લાગી ગઈ.
ગ્રામીણોએ જણાવ્યું હતું કે કારમાં સવાર લોકોને કારમાંથી નીકળવાની તક જ નહીં મળી, પરંતુ બસના મુસાફરો એટલા ડરી ગયા કે બારીમાંથી તેઓ કૂદીને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી મૃતદેહોને કાઢવાનું કામ શરૂ કર્યું હતું. પોલીસ મૃતકોની ઓળખ કાઢવા લાગી ગઈ છે. ઘટના બાદ એ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો છે.
કારના રજિસ્ટ્રેશન નંબર પરથી મેળવેલી જાણકારી અનુસાર કાર બિહારના પટનાની છે. રામગઢ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કાર(BR 01 BD 6318) આલોક રોશનના નામે રજિસ્ટર્ડ છે. તેનું સરનામું કંકડબાગમાં છે. જોકે હજી પોલીસની મૃતકોનાં પરિવારજનો સાથે વાત નથી થઈ શકી.