પ્રશાંત દયાળ, અમદાવાદ: ચોટીલાના ચકચારી કેસમાં અનેક વિદ્યાર્થિનીઓને ભગાડી જનાર શિક્ષક ધવલ ત્રિવેદીને સીબીઆઈએ હિમાચલ પ્રદેશમાંથી ઝડપી લીધો હતો. મંગળવારના રોજ સીબીઆઈ દ્વારા ખાસ સીબીઆઈ અદાલતમાં અપહરણ અને દુષ્કર્મના આરોપ સાથેની 400 પાનાનું ચાર્જશીટ રજુ કર્યું છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્યૂશન ક્લાસ ચલાવતા ધવલ ત્રિવેદીએ પોતાની અનેક વિદ્યાર્થિનીઓને નિશાન બનાવી તેમને ભગાડી ચુક્યો હતો, પરંતુ આબરુ જવાની બીકે વિદ્યાર્થિનીઓના માતા-પિતા આ અંગે ફરિયાદ કરતાં નહોતા. બે અલગ અલગ ગુના નોંધાયા પછી રાજકોટ જેલમાં રહેલો ધવલ ત્રિવેદી પેરોલ પર બહાર આવ્યા પછી તેણે ચોટીલાની એક વિદ્યાર્થિનીને ભગાડી હતી.
આ મામલે ગુજરાત પોલીસે ગુનો નોંધ્યા પછી ધવલ ત્રિવેદીને પકડવો તેમના માટે મુશ્કેલ બનતા ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મામલો સીબીઆઈ સુધી પહોંચ્યો હતો. સીબીઆઈએ દેશ વ્યાપી તપાસ કરીને દિલ્હી પોલીસની મદદથી એક ટાઈલ્સ બનાવવાની ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરતાં ધવલને ફેક્ટરીમાંથી પકડી લીધો હતો.
અપહરણ અને દુષ્કર્મના આરોપ સાથે સીબીઆઈએ રજુ કરેલા 400 પાનાના ચાર્જશીટમાં ધવલનો ગુનો પુરવાર થાય તે પ્રકારના 37 મહત્વના સાક્ષીઓના નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે.