અમદાવાદ: કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલા શુક્રવારે સવારે જેવા વિધાનસભા સંકુલમાં આવ્યા એવા તરત જ કોંગ્રેસના કાર્યકરો-ધારાસભ્યો પાસે પહોંચી ગયા હતા એટલે એમણે ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યાં હતા કે ‘અલ્પેશ 20 કરોડમાં વેચાયો, કોંગ્રેસમાંથી ચૂંટાઈ ભાજપમાં વેચાયો.’
વિધાનસભા સંકુલમાં ઠાકોર સેનાના યુવા કાર્યકરો પણ ફરતા હતા તેઓ પણ આ સૂત્રોચ્ચારમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી વખતે બળવાખોરી કરનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ચાલ કોંગ્રેસમાં ખુલ્લી પડી ગઈ હતી.
જેના કારણે કોંગ્રેસને આ બંને જણ ઉપર વિશ્વાસ ન હતો. એટલે જ આ બંનેને રૂબરૂ નહીં પણ એમના નિવાસસ્થાનોએ રજિસ્ટર્ડ એ.ડી.થી વ્હીપ મોકલવામાં આવ્યો હતો તથા એમના નિવાસસ્થાનોએ પણ વ્હીપ ચોંટાડવામાં આવ્યો હતો.
અલ્પેશે કરેલા ત્રાગાથી મૂળે ભાજપને પણ એની ઉપર ભરોસો નથી એટલે એની પાંખો કાપવા જ જુગલ ઠાકોરને રાજ્યસભામા લઈ જવાનું ભાજપે પસંદ કર્યું છે.