ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના જામનગર જોડિયા ખાતે પી.પી.પી. ધોરણે શરૂ થનાર પ્લાન્ટથી માત્ર 5.7 પૈસે પ્રતિલીટર પાણી વપરાશકારોને મળશે તેમજ દુષ્કાળ જેવી સ્થિતિમાં મીઠું પાણી મેળવવાનો વધુ વિકલ્પ ગુજરાતની પ્રજાને મળશે તેવું કહ્યું હતું.
જામનગર જિલ્લાના ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેકટ અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા ખાતે દૈનિક 10 કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ પાણી બનાવતી એજન્સી રૂપિયા 700 કરોડનું રોકાણ કરીને માત્ર 5.7 પૈસે પ્રતિલીટર પાણી 25 વર્ષ સુધી પૂરું પાડશે. આ માટે થયેલ નિયત ટેન્ડર શરતો અનુસાર સંબંધિત પ્લાન્ટનું મેઈન્ટેનન્સ, પાવર બિલ સહિત તમામ ખર્ચ જે તે કંપની ભોગવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાના સાત જિલ્લાઓમાં દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ બનાવવાના પ્લાન્ટ માટેની પ્રક્રિયાઓ જુદા-જુદા તબક્કા કરવામાં આવશે.
આ જિલ્લાઓમાં પણ વપરાશકારોને બજારમાં મળતા પ્રતિલીટર મીઠા પાણીથી સસ્તું પાણી વપરાશકારોને મળશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જામનગર ખાતે ઈજારદાર પાસેથી પ્રતિદિન 100 એમ.એલ.ડી. પાણી રૂ.57 પ્રતિ હજાર લીટરના દરે બે વર્ષ સુધી પુરૂ પાડશે તેમ જણાવ્યું હતું.