ભલે કાંટા-ચમચીનું ચલણ વધી ગયું હોય, પરંતુ ધીમે-ધીમે લોકો હાથથી ભોજન કરવાના ફાયદા સમજતા થયા છે. આપણા દેશમાં જમીન પર બેસીને જમવાની પરંપરા છે. હાથથી જમવાના ફાયદા વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલ.
જો આપણે બાળપણ પર એક ઝલક કરીશું તો યાદ આવશે કે આખો પરિવાર જમીન પર બેસીને ભોજન કરતો હતો, પરંતુ સમયની સાથે પરિવાર નાનો થતો ગયો અને ભોજન કરવાની રીત પણ બદલાતી ગઈ. ધીમે-ધીમે ડાઈનિંગ ટેબલ પર કાંટા-ચમચીથી જમવાનો ક્રેઝ વધતો ગયો, પરંતુ ઘણા લોકો હાથથી ખાવાના ફાયદા જાણીને પોતાની ટેવ બદલી રહ્યા છે.
ડાયટિશિયન શિલ્પા મિત્તલે કહ્યું, ભોજનને સ્પર્શ કરતાં જ મગજને ખબર પડે છે કે હવે પેટમાં ભોજન જવાનું છે. આનાથી તે પાચનતંત્રને રેડી કરી દે છે. હાથથી ભોજન કરીએ ત્યારે આપણે ભોજન સાથેનું કનેક્શન અનુભવીએ છીએ. આપણને ભોજનના ટેક્સચર ખબર પડે છે. ભોજન કેટલું ગરમ છે તે ખબર પડે છે, તેનાથી જીભ પણ બળતી નથી. જમીન પર બેસીને જમવાથી બોડી પોશ્ચર યોગ્ય રહે છે અને પાચનતંત્ર પોતાનું કામ સરખી રીતે કરે છે.
આયુર્વેદમાં માનવામાં આવે છે કે આપણી પાંચ આંગળીઓ ભૂમિ, જળ, અગ્નિ, આકાશ અને વાયુ આ પાંચ તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ કારણે હાથથી ભોજન કરવાથી આનંદ અને સંતોષ મળે છે.
જમીન પર બેસીને હાથથી ખાવાથી માંસપેશીઓની કસરત થાય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો સારો રહે છે અને આખા શરીરને તેનો લાભ મળે છે.
આપણા દેશની ઘણી ફૂડ આઈટમ છે, જે કાંટા-ચમચીથી ના ખાઈ શકાય જેમ કે શાક-રોટલી, દહીં-પરાઠા. આથી બાળકોને પણ હાથથી ખાવાની ટેવ હોય છે. ઘરે બાળકોને જમીન પર બેસાડીને હાથથી જમાડવા જોઈએ. બાળકો જ નહીં, મોટાએ પણ આ ટેવ પાડવી જોઈએ.
કાંટા-ચમચીથી ખાવાથી ભોજનને સ્પર્શ કરવા જેટલો સંતોષ મળતો નથી. ભોજન કેટલું ગરમ છે તે પણ ખબર પડતી નથી. હાથથી ખાવાનાં ઘણા બધા ફાયદા છે. આથી બાળકોને હાથથી ભોજન કરાવવું જોઈએ.