વડોદરા એકતરફ પુત્રનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે એ.એસ.આઇ. એકદમ ઢળી પડ્યા હતા. તેઓએ તરત જ ઉંચકીને નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, હૃદયરોગનો હુમલો એટલો ઘાતક નીવડયો કે, તેમનું મૃત્યુ થયું હતુ. પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથી કર્મચારીના પુત્રનો લગ્ન પ્રસંગ અટકે નહીં તે માટે તાબડતોબ સ્થળ પર દોડી ગયો હતો.
બાપોદ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા જ્યંતિભાઇ ગોવિંદભાઇ પરમાર (રહે.બ્રહ્મપુરી સોસાયટી,વાઘોડિયારોડ)ના પુત્રનું લગ્ન હોય તે છેલ્લા એક સપ્તાહથી રજા પર હતા. પુત્રના લગ્નનો સમારોહ પાંચમી તારીખથી શરૂ થયો હતો. પાંચમી તારીખે સવારે ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્ત હતા. ગઇકાલે રવિવારે રાતે ગરબાનો કાર્યક્રમ હતો.
આજે સવારે તેમના પુત્રની જાન તેમના ઘરેથી નીકળીને ગોરવા સી.કે.પ્રજાપતિ સ્કૂલની સામે આવેલા બંધન પાર્ટી પ્લોટમાં ગઇ હતી. બપોરે જાનને આવકારી લગ્ન મંડપ સુધી લઇ જવામાં આવતી હતી. તેમના પુત્રની સાથે તેઓ ચાલતા હતા. પરંતુ અચાનક તેઓને તબિયત નાદુરસ્ત લાગતા તેઓ પાછળ ચાલવા લાગ્યા હતા. અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમના સાથી કર્મચારીઓ તથા સંબંધીઓ જ્યંતિભાઇને ઉંચકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.
આ બાબતની જાણ તેમના પુત્રને કે અન્ય પરિવારજનોને ના થાય તેની તકેદારી રાખી હતી. પરંતુ,હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ જ્યંતિભાઇનું અવસાન થયું હતું. લગ્નપ્રસંગમાં અડચણ ના આવે તે માટે તેમના પુત્રને પિતાના અવસાનની જાણ કરવામાં આવી નહતી.
મોડી સાંજે લગ્નપ્રસંગ પૂર્ણ થયા પછી તેમના પુત્રને પિતાના અવસાન અંગે જાણ કરવામાં આવી હતી. જે પરિવારમાં લગ્નપ્રસંગની ખુશી હતી. તે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જ્યંતિભાઇ બાપોદ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ.તરીકે ડી- સ્ટાફમાં ફરજ બજાવતા હતા અને તેમની નિવૃત્તિને માત્ર બે વર્ષ જ બાકી રહ્યા હતા.