ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદમાં એક પિતાએ પોતાની જ પુત્રીનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પિતાએ પુત્રીને ઘરમાં એક યુવક સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધી હતી, જે વાત તે સહન ન કરી શક્યા અને રાત્રિના સમયે પુત્રીના પિતાએ લોખંડની કરવત વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ આખા મામલાની તપાસ શરૂ કરી છે.
પોતાનો ગુનો છુપાવવા માટે મૃતકનાં પિતાએ પાડોશીઓને જણાવ્યું કે, તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. જો કે, પોલીસે મૃતદેહને ધ્યાનથી જોયો તો ગળું ચીરાઈ ગયેલું દેખાયું. જેને જોઈને લાગતું હતું કે, આ બાળકીની હત્યા થઈ છે. પોલીસે જ્યારે યુવતીના પિતાની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે આ હત્યાનો ખુલાસો થયો હતો.
આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેણે પુત્રીને એક યુવક સાથે દુષ્કર્મ કરતી જોઈ હતી.જે બાદ તેને ઉંઘ આવી રહી નહોતી અને તે બેચેન થઈ રહ્યો હતો. આ પછી તેણે ગુસ્સામાં આ પગલું ભર્યું. ફિરોઝાબાદનાં પોલીસ અધિક્ષક ડૉ. અખિલેશ નારાયણ સિંહે કહ્યું કે, તેમને 18 વર્ષની છોકરીની હત્યા અંગેની માહિતી મળી હતી.
આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ હત્યામાં વપરાયેલ હથિયાર પણ પોલીસને મળી આવ્યું છે અને ફોરેન્સિક ટીમ પણ આ કેસની તપાસમાં મદદ કરી રહી છે.