નવી દિલ્હી: પોતાની સેવિંગ અને ઈન્કમ ટેક્સ બચાવવા માટે લોકો એફડી એટલે કે ફિક્સ ડિપોઝીટનો રસ્તો અપનાવે છે. ઘણા ફેમિલીમાં સેવિંગનો એક મોટો હિસ્સો હજી પણ એફડીમાં જાય છે. સુરક્ષિત રોકાણ અને સરળતાથી જમા પૈસા પરત મેળવવાની સુવિધાને કારણે લોકો એફડીમાં રોકાણ કરવાનું યોગ્ય માને છે. શું તમને ખબર છે કે એફીડમાં ફિક્સ કરવામાં આવેલી રકમથી મળનારી વ્યાજની આવક પણ ટેક્સના દાયરામાં આવે છે? જોકે લોકો એફડીથી મળેલા વ્યાજ પર લાગનારા ટેક્સને ચૂકવવાને લઈને અસમંજસમાં હોય છે. આવો વિસ્તારથી જાણીએ કે વ્યાજની આવક પર લાગનારા ટેક્સથી કેવી રીતે બચી શકાય.
વ્યાજ તરીકે મળતા નાણા પૂરી રીતે ટેક્સેબલ છે. તમારા આવકના અન્ય સાધનોની જેમ જ આને પણ આવક ગણવામાં આવે છે આના માટે પણ એક સીમા નક્કી કરવામાં આવી છે, ત્યાર બાદના તમારા વ્યાજની રકમ પર ટેક્સ લાગશે. ધ્યાન રાખો કે તમારી કુલ આવકમાં તે જ હિસ્સો ટેક્સના દાયરમાં આવશે, જે સ્લેબમાં નક્કી કરવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખો કે દરેક એફડી પર ટેક્સ પર છૂટ મળી શકે નહીં.
ટીડીએસના દાયરામાં વ્યાજની કેટલી રકમ આવે?
બેંક તમારી એફડી પર મળતા વ્યાજની આવકનું આંકલન કરે છે. જો તમારાં વ્યાજની ઈનકમ 10 હજાર રૂપિયાથી વધુ હોય તો તે ટીડીએસના દાયરામાં આવી જાય છે. એટલે 10 હજાર રૂપિયાથી વધુ વ્યાજ પર ટીડીએસ લાગે છે. બેંક ટીડીએસ વાર્ષિક આધારે કટ કરે છે. ઉદાહરણ તરીકે જો તમે ત્રણ વર્ષની એફડી કરાવી હોય અને તેના પર વ્યાજની રકમ પ્રતિ વર્ષ 10 હજારથી વધુ હોય તો દર વર્ષે ટીડીએસ કાપવામાં આવશે.