યુએસ-કેનેડાની બોર્ડર પર ચાર ગુજરાતીઓના ધ્રુજાવી દેતા મોતથી ગુજરાત અને ગુજરાતીઓ સ્તબ્ધ છે. આ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. બરફ નીચે જે ચારો લોકોના મૃતદેહો મળ્યા હતા તેને વતન કલોલ લવાશે કે ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે એ હજી નક્કી નથી. બીજી તરફ પ્રારંભિક અહેવાલો એવા હતા કે આ પરિવાર કલોકથી વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો. જોકે ગુજરાત ટીવી ન્યૂઝ ચેનલ વીટીવીએ અલગ જ દાવો કરી બધાને ચોંકાવી દીધા છે.
ગુજરાતી ન્યૂઝ ચેનલ વીટીવીએ તેના એક્સક્લુઝિવ અહેવાલમાં ઘટસ્ફોટ કર્યો હતો કે કલોકનો આ પટેલ પરિવાર ડાયરેક્ટ કેનેડા વિઝિટર વિઝા પર નહોતો ગયો. અહેવાલના અહેવાલ મુજબ આ પરિવાર પહેલાં યુરોપ સુધી વિઝિટર વિઝા પર ગયો હતો. બાદમાં આ પરિવાર યુરોપથી સમુદ્ર માર્ગે બોટમાં કેનેડામાં ગેરકાયદે ઘૂસ્યો હતો. કેનેડામાં ગેરકાયદેસર ઘુસ્યા બાદ આ પરિવાર અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતો હતો ત્યારે આ કરુણાંતિકા બની હતી.
ન્યૂઝ ચેનલ વીટીવીના અહેવાલમાં મુજબ આ પરિવાર યુરોપથી કેનેડાની દરિયાઈ બોર્ડર પર ઉતર્યો હતો અહીંથી એજન્ટના પ્લાનિંગ મુજબ 11 ગુજરાતીઓએ માઈનસ 35 ડિગ્રીમાં કેનેડાની બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં પહોંચવાનું હતું. પણ કલોલનો આ હતભાગી ગુજરાતીઓના ગ્રુપથી અલગ પડી ગયો હતો. બરફના તોફાન અને અંધારામાં આ પરિવાર વિછૂટો પડી જતાં મોતને ભેંટ્યો હતો. બીજી તરફ અન્ય 7 ગુજરાતીઓ બોર્ડર તો ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા, પણ તેમને અમેરિકાની પોલીસે ઝડપી લીધા હતા.
એજન્ટ સાથે સવા કરોડમાં થઈ હતી ડીલ
નોંધનીય છે કે ચાર દિવસ પહેલાં યુએસ-કેનેડા બોર્ડર પર કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ (35), તેમની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3)નું અતિશય ઠંડીને કારણે મોત થયું હતું. એક અહેવાલ પ્રમાણે આ પરિવારે અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માટે એજન્ટ સાથે અંદાજે સવા કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરી હતી. બીજી ગુજરાત પોલીસની સીઆઈડીની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ એ શોધવામાં લાગી છે કે આ પરિવાર કેવી રીતે કેનેડા પહોંચ્યો હતો અને તેમાં એજન્ટોની શુ ભૂમિકા હતી.
પુત્ર જગદીશ વિઝા લઈને જ ગયો હતો : પિતા
આ અંગે જગદીશ પટેલના પિતા બળદેવભાઈએ ચોધાર આસું સારીને કહ્યું હતું કે, “સગા સંબંધીઓ દ્વારા એમ્બેસીમાં સંપર્ક કરેલો છે. પરંતુ હજી સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. પુત્ર જગદીશ વિઝા લઈને જ ગયેલો હતો. જે શિક્ષિત હોવાથી આ વિશે વધુ પૂછતાંછ પણ મેં કરી ન હતી. અમે ગામડે રહીએ છીએ અને તે તેના પરિવાર સાથે કલોલ રહેતો હતો. અમે બધા ચિંતામાં છીએ.”
ગુજરાતની CID ટીમ કરશે તપાસ
અમેરિકા-કેનેડા સીમાને ગેરકાયદે રીતે ક્રોસ કરવાના પ્રયત્નમાં ગુજરાતના એક જ પરિવારના ચાર લોકોનાં મોત થતાં રાજ્ય પોલીસે આ ઘટનાની તપાસ સીઆઈડી વિભાગને આપી છે. વિભાગને સ્વતંત્ર રીતે ગેરકાયદે માનવ તસકરીનો વેપાર ચલાવતા એજન્ટોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું હતું કે રાજ્યના સીઆઈડી વિભાગને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. એ ઉપરાંત આ સમગ્ર ઘટનાની તપાસ અમેરિકા અને કેનેડાના અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ગેરકાયદેર વિદેશ મોકલવાનું જો રેકેટ ચાલતુ હશે તો તેવા લોકો સામે ગુજરાત પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે.
અમદાવાદમાં 300 જેટલા ફેક એજન્ટ
પાર્થેશ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં જ એવા 300 જેટલા ફેક એજન્ટો છે, જે તેમના ગ્રાહકોને કહે છે કે તેઓ તેમને વિઝિટર વિઝા અપાવી દેશે અને પછી ત્યાં જઈને તે એજન્ટ જ તેમને નોકરી અપાવી દેશે અને વર્ક પરમિટ અપાવશે. ગ્રાહકે કુલ ખર્ચના અડધા પૈસા અત્યારે આપવાના હોય છે અને બાકીના પૈસા તેમના કેનેડામાં નોકરી મળે પછી આપવાના હોય છે, પરંતુ હકીકતમાં તેવા એજન્ટો વિઝિટર વિઝા પણ તેમના ગ્રાહકને અપાવી શકતા નથી અને તેમને શરૂઆતના વ્યક્તિદીઠ 50થી 70 હજાર રૂપિયા મળી જાય એમાં જ રસ હોય છે.
મૃતકોના પરિવારે ભારતીય એમ્બેસીને કરી જાણ
આ ઘટનામાં ચારેય મૃતકના પરિવારે ભારતની એમ્બેસીમાં ઇમેલ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. કેનેડા પોલીસે ચાર મૃતકના પરિવારનો સંપર્ક કર્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. એમાં કેનેડામાં રહેતાં તેમનાં સગાંની સાથે ત્યાંની પોલીસે પણ પૂછપરછ કરી છે.
એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર ક્રોસ કરી હતી
કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એજન્ટ 11 લોકોને લઈને નીકળ્યો હતો. સતત 11 કિમી સુધી માઈનસ 35 ડીગ્રીમાં આ લોકો બોર્ડર ક્રોસ કરવા ચાલ્યા હતા, પરંતુ બરફ પથરાઈ જવાને કારણે એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર ક્રોસ કરી નાખી હતી, જ્યારે આ ચારેય મૃતકો પાછળ રહી જતાં રસ્તો ભટકી ગયા હોવાથી મોડા પડ્યા હતા. રસ્તો શોધવામાં આ લોકો બરફમાં ફસાઈ ગયા અને થીજી ગયા હતા, જેથી તેમના ત્યાં જ ઠંડીમાં થીજવાને કારણે મોત નીપજ્યાં હતાં. બોર્ડર ક્રોસ કરી ગયેલા સાતેય લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હતા, જ્યારે એજન્ટની પણ ધરપકડ કરાઈ હતી.
11માંથી સાત લોકો પકડાઈ ગયા હતા
અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 11 લોકોમાંથી એક જ પરિવારના ચાર સભ્ય માઈનસ 35 ડીગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયેલા હોવાની ઘટનાએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આ ચારેય મૃતક કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી છે. જોકે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું, પરંતુ બીજી તરફ આ 11 લોકોમાંથી 4 લોકોનાં મોત થયાં બાદ બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આ સાત લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની આશંકાઓ છે.
અમેરિકામાં પકડાયેલાં સાત ગુજરાતી
મહેશભાઈ વાડીલાલ પટેલ, વર્શિલ પંકજભાઈ ધોબી, અર્પિત કુમાર રમેશભાઈ પટેલ, પ્રિન્સકુમાર જ્યંતીભાઈ પટેલ, સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ, યશ દશરથભાઈ પટેલ, પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી