ભારત તેની જૂની સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ઉપરાંત દેશમાં એવી ઘણી રહસ્યમય જગ્યાઓ છે કે, જે આજે પણ વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન છે. જેમાં બિહારમાં સ્થિત સોનાનો ભંડાર પણ સામેલ છે કે, જ્યાં એક રહસ્યમયી દરવાજો છે. આ દરવાજો હજારો પ્રયાસો બાદ પણ આજદિન સુધી કોઇ ખોલી શક્યું નથી. ઘણીવાર આ દરવાજો ખોલવાનો પ્રયત્ન થયો, પરંતુ ક્યારેય કોઈ સફળ ના થયા. આ સોનાનો ભંડાર બિહારના પ્રખ્યાત પર્યટન સ્થળ રાજગીરમાં એક ગુફાની અંદર સ્થિત છે.
ઇતિહાસકારોનું કહેવું છે કે, હર્યાક વંશની સ્થાપના કરનાર બિમ્બિસારને સોના-ચાંદીનો સંગ્રહ કરવો ખૂબ જ પસંદ હતો. સોના-ચાંદી સાથે તેને થોડો વધુ પડતો લગાવ હોવાના કારણે તે ઘરેણાં એકત્રિત કરતો હતો. એવું કહેવાય છે કે, રાજગીરની આ ગુફામાં બિમ્બિસારનો કિંમતી ખજાનો છુપાયેલો છે. આ ખજાનો બિમ્બિસારની પત્નીએ છુપાવ્યો હતો, પરંતુ આ ખજાનો આજ સુધી કોઈ શોધી શક્યું નથી.
અંગ્રેજોએ પણ આ ગુફામાં જવા માટે તમામ પ્રયત્નો કર્યા, પરંતુ તેમના હાથ પણ નિષ્ફળતા જ લાગી. આ ખજાનાને ‘સોનાનો ભંડાર’ જ કહેવામાં આવે છે. અમુક જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ બિમ્બિસરની પત્નીએ આ ગુફાનું નિર્માણ કરાવ્યું હતું. આ ખજાનો આજે પણ દુનિયા માટે એક રહસ્ય છે કે, તેને જોવા માટે દેશ-વિદેશથી દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. અહીં આવતા પ્રવાસીઓને પણ આ વણઉકેલાયેલી પઝલ જાણવાની તાલાવેલી જાગે છે.
પ્રાચીનકાળમાં મગધની રાજધાની રાજગીરમાં જ ભગવાન બુદ્ધે બિમ્બિસારને ધર્મની વાત કહી હતી. બિહારના પ્રખ્યાત સ્થળોમાં સમાવિષ્ટ આ સ્થળ મુખ્યત્વે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્મારકો માટે જાણીતું છે. કેટલાક લોકો માને છે કે, આ ખજાનો મગધના ભૂતપૂર્વ સમ્રાટ જરાસંઘનો છે, પરંતુ આ ખજાનો હરિયાક વંશના સ્થાપક બિમ્બિસારનો છે તેના વધુ પુરાવા છે, કારણ કે આ ગુફાથી થોડેક દૂર એ જેલ હતી જેમાં અજાતશત્રુએ તેના પિતા બિમ્બિસારને બંદી બનાવી રાખ્યા હતા. આજે પણ એ જેલના અવશેષો છે એટલે આ ખજાનો બિમ્બિસારનો ગણાય છે.
એવું કહેવામાં આવે છે કે, બિમ્બિસારને ઘણી રાણીઓ હતી. તેમાંથી એક રાણી બિમ્બિસારની ખૂબ જ નજીક જ હતી અને તેની સંપૂર્ણ સાર-સંભાળ રાખતી હતી. જ્યારે અજાતશત્રુએ પોતાના પિતાને બંદી બનાવ્યા ત્યારે આ રાણીએ જ રાજાનો બધો ખજાનો આ ગુફામાં સંતાડી દીધો હતો. સોનાના ભંડારની અંદર જાઓ કે તરત જ સૌથી પહેલા ખજાનાની રક્ષા કરતા સૈનિકોનો રૂમ આવે છે ત્યારબાદ ખજાનાનો જે રસ્તો છે, તેના દરવાજા પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો છે. આજદિન સુધી આ રહસ્યમય ખજાનાનો દરવાજો કોઈ ખોલી શક્યું નથી. તેથી તે હજુ પણ વૈજ્ઞાનિકો માટે પણ એક કોયડો છે.
આ ગુફાના દરવાજા પર રાખવામાં આવેલા પથ્થર પર શંખના લીપીમાં કંઈક એવું લખાયેલું છે કે, જે આજ સુધી કોઈ વાંચી શક્યું નથી. એવું માનવામાં આવે છે કે, તિજોરીનો દરવાજો ખોલવાની વાત કહી છે. જો તમે તેને વાંચવામાં સફળ થશો તો ખજાનો સુધી પહોંચી શકાય છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે, વૈભવગિરી પર્વત સાગરના માધ્યમથી બિમ્બિસારના રહસ્યમય ખજાના સુધી પહોંચી શકાય છે. આ માર્ગ સપ્તપર્ણી ગુફાઓ તરફ દોરી જાય છે કે, જે સોનાના ભંડાર ગુફાની બીજી બાજુ પહોંચે છે. આ ખજાનો મેળવવા માટે અંગ્રેજોએ તોપથી ગુફાનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ના થયા અને આ ખજાનો હજુપણ ગુફામાં અંકબંધ છે.