સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને હત્યારાને પતાવી દેવાની વાત કરી હતી. યુવાનોને બહેન-દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવા જણાવ્યું હતું.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે સુરતની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધી રહ્યાં છે. કેટલાંક અસામાજિક તત્ત્વો છડેચોક બહેન-દીકરીઓ પર ત્રાસ ગુજારતાં થયાં છે. બે દિવસ પહેલાં જ સુરતમાં કાળજું કંપાવી નાખે એવી ઘટના બની.
આ ઘટના જોઇને ગમેતેવા મજબૂત માણસની આંખમાંથી આંસુ નીકળી જાય. લોકોની વચ્ચે જાહેરમાં એક નરાધમ યુવક દીકરીને છરી મારી દે. કાળજું કાંપી ઊઠે, મને પોતાને એવું થયું કે મારી રિવોલ્વરથી આ નરાધમને ગોળી મારી દઉં.. આ બધું કેવી રીતે ચાલે? હું મારા યુવાનોને કહું છું કે ક્યાંય પણ દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઊંચા નહીં થવા દેવાના.
ઘટના શું હતી?
12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના શખ્સે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.