સુરતમાં વેકરિયા પરિવારની લાડલી દીકરી ગ્રીષ્માની હત્યાનો સૌથી વધુ આઘાત તેના પિતા નંદલાલભાઈને લાગ્યો છે. આફ્રિકાથી સુરત પહોંચ્યા ત્યાં સુધી તેમને ખબર ન હતી કે તેમના કાળજાનો કટકો હવે આ દુનિયામાં નથી રહ્યો. સુરત આવ્યા બાદ જેવું તેમને કહેવામાં આવ્યું કે દીકરી ગ્રીષ્મા આ દુનિયામાં નથી તો તેમનો ઘેરો આઘાત લાગ્યો હતો. મહત્વની વાત એ છે કે, ગ્રીષ્માની હત્યાના સમાચાર સાંભળીને ફોઈ રાધાબહેન કંપી ઉઠ્યા હતાં ત્યાર બાદ આકરાં પાણીએ જોવા મળ્યાં હતાં. ફોઈ રાધાબહેને કહ્યું હતું કે, સર અમને તો એવું થાય છે કે, સરકાર ફેનિલને અમને સોંપી દે તો એ જ ખંજરથી એને મારી નાખીએ. મારી ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થઈ ગયા છે તો બીજા દિવસે તેને ફાંસી થઈ જવી જોઈએ.
એક ગુજરાતી અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સરકાર પ્રુફ માંગે છે, આ વીડિયો પ્રુફ છે, તો સરકાર પગલાં કેમ નથી લેતી. હત્યારાને ફાંસી જ થવી જોઈએ. તેઓ તરત ભાન ગુમાવી બેઠા હતા. હત્યાના 4 દિવસ બાદ તેમણે અંદર ધરબી રાખેલો રોષ વ્યક્ત કર્યો હતો.
નંદલાલભાઈએ કહ્યું કે મારો ભાઈ મને પિતાજીની તબિયર ખરાબ હોવાનું કહીને આફ્રિકાથી સુરત લાવ્યો હતો. હું સવારે પાંચ વાગ્યે સુરત પહોંચ્યો ત્યારે મને મારા ભાઈએ કહ્યું કે પપ્પા નહીં પણ તમારી ગ્રીષ્મા આ દુનિયામાં નથી, ત્યારથી મને કંઈક ભાન જ નહોતું રહ્યું. પછી મને ખ્યાલ જ નથી કે શું થયું હતું. પછી સમય જતો ગયો તેમ તેમ મને કહેતા ગયા કે તમારી દીકરી સાથે આમ રીતનું થયું છે.
ગ્રીષ્માના પિતા નંદલાલભાઈએ એવું પણ કહ્યું હતું કે મેં એ વીડિયો જોયો નથી અને હું જોવા પણ નથી માંગતો. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર પ્રુફ માંગે છે, આ વીડિયો પ્રુફ છે, તો સરકાર પગલાં કેમ નથી લેતી. સરકાર શેની રાહ જોવે છે. પ્રુફ આપવાની આમા જરૂર જ ક્યાં છે. અમને અમારી દીકરીનું અતિશય દુ:ખ છે, પણ દેશની કોઈ દીકરી સાથે આવું ન થાય.
નંદલાલભાઈએ કહ્યું, મેં આફ્રિકા જવાનું કહ્યું ત્યારે બહુ રડી હતી. મને કહે પપ્પાની નથી જવું. મને મૂકીને નથી જવું. મેં કહ્યું, બેટા એક-બે વર્ષ જઈ આવું પછી તારે ટેન્શન ના રહે. છેલ્લો ગ્રીષ્માનો મારા પર શનિવાર સવારે ફોન આવ્યો હતો. ત્યારે મને એટલું જ કહ્યું કે પપ્પા મારે હવે વડોદરા ભણવા જવું છે. મારે હવે હોસ્ટેલમાં રહી વડોદરા ભણવું છે. મેં કહ્યું હતું કે કોઈ વાંધો નહીં બેટા, તને જે મજા આવતી હોય એ કરવાનું. મને શું ખબર કે દીકરી લફંગાથી છૂટકારો મેળવવા શહેર છોડવા માંગતી હતી.
નંદલાલભાઈએ કહ્યું કે અમારો બાપ-દીકરીનો પહેલેથી એવો સંબંધ હતો કે અમે બન્ને ફ્રી માઈન્ડ હતા. હું એને હંમેશા પૂછતો તો મને એટલું જ કહેતી કે પપ્પા તમારે નીચું જોઈને દુનિયામાં ચાલવું પડશેને એવું કામ હું કોઈ દિવસ નહીં કરું. એના મોબાઈલની અંદર કોઈ દિવસ લોક નહોતી રાખતી. તેના પર્સનલ કબાટમાં તેણે કોઈ દિવસ લોક નથી માર્યું. તેની બેગની અંદર કોઈ દિવસ કોઈ વસ્તુ હોય જ નહીં. તેની બહેનપણીનો ફોન હોય તો પણ બહાર નીકળીને વાત કરી નથી. મારી બાજુમાં બેસીને જ વાત કરતી હતી. કોઈ એવી વસ્તુ જ એની પાસે નહોતી.