આશીષ નહેરાને મોટાભાગના લોકો ‘નહેરા જી’ તરીકે સંબોધિત કરે છે. આશિષ નહેરાએ ક્રિકેટરથી લઈ કોચ તરીકે પોતાની સફરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. અગાઉ RCBના બોલિંગ કોચ તરીકે કાર્યરત નહેરાજીને ફ્રેન્ચાઈઝીએ બહારનો રસ્તો બતાવી દીધો હતો. તેવામાં ગુજરાતની ટીમે વિશ્વાસ રાખી આશિષ નહેરાને હેડ કોચ તરીકે પસંદ કર્યા હતા. ત્યારપછી ગુજરાત ટાઈટન્સે ટાઈટલ જીતી ઈતિહાસ રચી દીધો છે.
નહેરા એવા ક્રિકેટ કોચ નથી જે તમને પહેલી નજરમાં આક્રમક રૂપમાં જોવા મળે. તે ફિલ્ડ પર પણ શાંત સ્વભાવ અને વિનમ્ર રહેતા જોવા મળે છે. વળી તેઓને ગેજેટ્સ જેવી ટેક્નોલોજી કરતાં તેમની પોતાની ક્ષમતાઓમાં વધુ માને છે. તે ગુજરાતના ડગઆઉટમાં પેન અને કાગળ લઈને બેસી રહેતા પણ જોવા મળ્યા છે. જ્યાં પણ સુધારાને અવકાશ હોય ત્યાં તે કાગળ-પેનથી જ નોંધ લેતા હોય છે. નાળિયેર પાણી પીને મેદાનની આસપાસ ફરતા નેહરાએ ગુજરાત ટાઇટન્સના બોલરોમાં એવો ઉત્સાહ જગાવ્યો કે વિરોધી ટીમના બેટર અસમંજસમાં મુકાઈ ગયા હતા.
આશિષ નેહરા તેની કરિયરમાં ઈજાના ખૂબ પરેશાન રહ્યો હતો. દિલ્હીમાં જન્મેલા આશિષ નેહરાની 18 વર્ષની ક્રિકેટ કરિયરમાં 12 વખત સર્જરી થઈ હતી. નેહરાએ કુલ 120 વનડે, 17 ટેસ્ટ મેચ અને 27 ટી20 મેચ રમી છે. ત્યાર બાદ તે આઈપીલમાં વિરાટ કોહલીની કેપ્શનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ તરીકે જોડાયો હતો. જોકે આઈપીએલમા સફળતા ન મળતાં ટીમે તેને કોચ પદેથી હટાવી દીધો હતો.
બોલિંગમાં આશિષ નેહરા જેટલો ગંભીર હતો એટલો જ પર્સનલ જિંદગીમાં આનંદી સ્વભાવનો છે. એક ઈન્ટરવ્યૂમાં નહેરાએ કહ્યું કે 23 માર્ચ 2099ના રોજ જ્યારે તે તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અચાનક તેને લાગ્યું કે હવે લગ્ન કરી લેવા જોઈએ. જ્યારે તેણે આ વાત ગર્લફ્રેન્ડ રુશ્માને કહી તો તેણે પહેલાં મજાક સમજી. પણ જ્યારે બીજા દિવસે પણ ફરી લગ્નની વાત કરી તો રુશ્મા તેની માતા સાથે દિલ્હી આવી ગઈ. ત્યારે બાદ 2 એપ્રિલ 2009ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.
નેહરા અને રુશ્માની જોડી ખૂબ જ સુંદર લાગે છે. રુશ્મા સ્ટાઈલમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. બંનેના લગ્નને 13 વર્ષ થઈ ગયા છે. નેહરા પોતાની પત્નીને લકી ચાર્મ માને છે. આ કપલને બે બાળકો આરુષ અને અરિયાને છે.
ગુજરાત ટાઇટન્સના દરેક ખેલાડીએ નહેરાના વખાણ કર્યા
આશિષ નહેરા ખૂબ જ શાંત વ્યક્તિ છે તેમાં કોઈ શંકા નથી. RCB મેનેજમેન્ટ સાથેના મતભેદની વાત કોઈના મનમાં ઉતરી નહોતી. તફાવત જુઓ, ગુજરાત ટાઇટન્સના દરેક ખેલાડી અત્યારે નેહરાના વખાણ કરતા રહે છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભૂતકાળમાં કહ્યું હતું કે, ‘જો કોઈ મને માણસ તરીકે સમજી શકે છે અને મને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી શકે છે, તો તે આશિષ નેહરા છે’. પંડ્યાના કહેવા પ્રમાણે ‘તે એવી વ્યક્તિ છે જે લોકો સાથે ઘણો સમય વિતાવે છે અને તે ખૂબ જ સારી ગુણવત્તાવાળો છે. ઘણો શ્રેય આશુ પા (નેહરા) અને સપોર્ટ સ્ટાફને જાય છે કારણ કે તેઓ ડ્રેસિંગ રૂમના વાતાવરણને ખૂબ જ ‘કૂલ’ રાખે છે.
ગુજરાતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ ટીમને એક મજબૂત પરિવાર તરીકે એકસાથે લાવવા અંગે આશિષ નેહરાની પ્રશંસા કરી હતી. રાશિદ ખાન કહે છે કે નેહરા ખૂબ જ ‘પોઝિટિવ’ વાતાવરણ બનાવી રાખે છે.