ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ચારે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. એક દિવસ પહેલાં જ ચાણસ્મા અને સિદ્ધપુરમાં માત્ર 20 જ મીનિટમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ‘વાયુ’ વાવાઝોડું જ્યારથી સક્રિય બન્યું હતું ત્યારથી જ હવામાન વિભાગ સાથે સૌને ચિંતા હતી કે, આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પાછો જઈ શકે છે.
‘વાયુ’ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું હતું જેને લઈને વરસાદની સિસ્ટમ ખોરવાઈ નથી. ગુજરાતમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 24 જૂનનાં રોજ થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા 24 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 24 અને 25 જૂનનાં રોજ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. જેનાથી ગરમી અને બફારથી ત્રસ્ત લોકો રાહત અનુભવશે.
મહત્વની વાત એ છે કે, કેરળમાં 8 જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા બાદ તેની ગતિ ધીમી પડી ગઈ હતી. હવે આ ચોમાસું આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે.