અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે વેરાવળ-સોમનાથમાં ફક્ત 2 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે વરસાદને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
બુધવારે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત ગુરુવારે પણ વરસાદી માહોલ ચાલુ જ રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો-પ્રેશર સર્જાયું છે જેના કારણે 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગના અનુમાન વચ્ચે અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હાલ દરિયામાં ઉંચા મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયામાં મોજા ઉછળવાનું શરૂ થતા જ પ્રશાસન એલર્ટ થઈ ગયું. પ્રશાસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી છે.