હાલમાં પશ્ચિમ બંગાળમાં ઈડીની રેડમાં કરોડો રૂપિયાની નોટોના ઢગલો મળી આવ્યાની તસવીરો તમે જોઈ છે. ઈડીએ અલગ અલગ જગ્યાએ રેડ પાડી કુલ 50 કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપી પાડી હતી. દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં પણ એક બિઝનેસ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. જેમાં 16 કરોડની કેશ સહિત કુલ 25 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે.
ગુજરાત ન્યૂઝ અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ચિરિપાલ જૂથ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદના બંગલોમાંથી અધધ 16 કરોડ રૂપિયાની રોકળ મળી આવી છે.
આઈટી અધિકારીઓએ નોટોની થપ્પીઓ ગોઠવતા આખો બેડ ભરાઈ ગયો હતો. આઈટીએ વિવિધ સ્થળેથી રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો જપ્ત કરી હતી. ઈન્કમ ટેક્સ વિભાગને અન્ય દરોડામાં રૂપિયા 9 કરોડ મળ્યા હતા. આમ કુલ 25 કરોડની મતા જપ્ત કરાઈ હતી.
નોંધનીય છે કે આવકવેરા વિભાગે ટેક્સ્ટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ચિરિપાલ જૂથને ત્યાં દરોડા પાડ્યા હતા. ચિરિપાલ જૂથ પર અમદાવાદ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. નવ દિવસ ચાલતી તપાસમાં કામગીરીમાં અધિકારીઓએ ફેક્ટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાક ઠેકાણે પણ તપાસ કરી હતી.
આવકવેરા જૂથને આ દરોડમાં કરોડોના બેનામી આર્થિક વ્યવહારો મળી આવ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત અમુક બેન્ક લોકર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે.