cf161d27f998c8bfab5cffda01b3405a
બટાલાઃ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરની નજીક માછિલ સેક્ટરમાં પંજાબના બટાલા ગામના પબ્બાંરાલી કલાં નિવાસી લાન્સ નાયક રાજિંદર સિંહે આતંકવાદીઓની ઘુસણખોરી નિષ્ફળ બનાવી હતી અને જેમાં તે શહીદ થયા હતાં. તેમનો પાર્થિવ દેહ રવિવારે (28 જુલાઈ) પૈતૃક ગામ મોકલવામાં આવ્યો હતો. જ્યારે પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને નીચે ઉતારવામાં આવ્યો ત્યારે ગામલોકોએ ભારતમાતા કી જયના નારા લગાવ્યા હતાં.
પબ્બાંરાલીમાં અંતિમ સંસ્કારઃ શહીદ રાજિંદર સિંહના અંતિમ સંસ્કાર સરકારી સન્માન સાથે પબ્બાંરાલીમાં કરવામાં આવ્યા હતાં. શહીદની અર્થીને માતા પલવિંદર કૌરે કાંધ આપી હતી. શહીદના ભાઈ દલવિંદર સિંહ તથા સાત મહિનાના દીકરી ગુરનૂર સિંહે મુખાગ્નિ આપ્યો હતો. કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવા પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા હતાં.
મૌન ધારણ કર્યું તિબ્બડી કેન્ટથી રામુ રામ સુબેદારની આગેવાની હેઠળ 19 જાટ શીખ રાઈફલ જવાનોની ટૂકડીએ રામ નામની ધૂન કરી હતી અને 2 મિનિટ મૌન ધારણ કર્યું હતું. કેબિનેટ મંત્રી સુખજિંદરે શહીદના પરિવારને 12 લાખ રૂપિયા તથા પરિવારમાંથી એકને શિક્ષણને આધારે સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. ગામના લોકોએ સ્કૂલનું નામ શહીદ પરથી રાખવાની જાહેરાત કરી હતી.
માતાએ કહી આ વાત દીકરો ગુમાવ્યા બાદ શહીદની માતાએ કહ્યું હતું કે તેમને ગર્વ છે કે દીકરાએ દેશ માટે શહાદત વહોરી. આ બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. શહીદની પત્ની રંજીત કૌરે કહ્યું હતું કે હવે તો આરપારની લડાઈ થવી જોઈએ. જેથી કોઈ પરિણીત સ્ત્રીનું ઘર બરબાદ થાય નહીં.
દોઢ વર્ષ પહેલાં લગ્ન રાજિંદર સિંહ ચાર વર્ષ પહેલાં રાષ્ટ્રીય રાઈફલ 57 RRમાં દાખલ થયા હતાં અને શ્રીનગરમાં તેમનું પોસ્ટિંગ હતું. રાજિંદર સિંહે દોઢ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો ગુરનૂર છે. લગ્નના આ દોઢ વર્ષના સમયમાં રાજિંદર માત્ર 2 જ વાર ઘરે આવ્યા હતાં. છેલ્લે માર્ચ, 2019માં આવ્યા હતાં. ત્રણ દિવસ પહેલાં પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. જોકે, કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ વાત છેલ્લીવારની બનીને રહી જશે. રાજિંદરના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને એટલે જ તેઓ સેનામાં દાખલ થયા હતાં.
શહીદ જવાનના પાર્થિવ દેહને લાવતા સૈનિકો
cf161d27f998c8bfab5cffda01b3405a