મહેશ સવાણીને હાર્ટ અટેક, પરિવારજનો અને શુભચિંતકો ચિંતા મુકાયા, જાણો હાલ કેવી છે તબિયત?

સુરતના સમાજસેવી ઉદ્યોગપતિ મહેશ સવાણીને હાર્ટ અટેક આવ્યો છે. સોમવાર મોડી રાતે મહેશ સવાણીએ હૃદયમાં દુઃખાવાની ફરિયાદ કરતાં પરિવારના સભ્યો તાત્કાલિક તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં જ્યાં તેમને અટેક આવ્યો હતો.

હાર્ટ અટેક આવતાંની સાથે જ હોસ્પિટલના ડોક્ટર્સે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત પૂછવા માટે આવી પહોંચ્યા હતાં. જોકે ડોક્ટરોના કહ્યા મુજબ હાલ તેમની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહેશ સવાણીની અચાનક તબિયત બગડતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો અત્યારે હોસ્પિટલે આવી પહોંચ્યા છે.

ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે ડૉક્ટરોએ ચેક અપ કર્યાં બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં રાહતનો શ્વાસ લીધો હતો.

પી. પી. સવાણીના વિપુલ તળાવીયા હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે, લગભગ છેલ્લા 2 દિવસથી એમને તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈ અગાઉથી જ તેમની પત્નીને પણ જાણ કરી હતી કે, મને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે.તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યાં હતા.

બપોરે સુગર હાઈ આવ્યા બાદ એમને સાંજના પી. પી. સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા.ત્યાં કાર્ડિયોલોજીસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા તેઓનું નિદાન થતા પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોઈ તેમને હ્રદયના એટેક હોઈ એવી જાણ થતાં જ તેઓને તુરંત એડમિટ કરીને એ સંદર્ભે વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી.. તેઓની એન્જીયોપ્લાસ્ટી કરીને મોડીરાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

Similar Posts