મહેસાણા: પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહીને ચમકેલા NCP નેતા રેશમા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પાટીદાર અનામત આંદોલનને છોડીને રેશમા પટેલ ભાજપમાં જોડાયા હતા. જોકે ત્યાર બાદ અચાનક ભાજપમાંથી રાજીનામું આપીને તેઓ NCPમાં જોડાયા છે. મહત્વની વાત એ છે કે હવે રેશમા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. રેશમા પટેલ વિરૂદ્ધ મહેસાણામાં નોંધાયેલા ગુનામાં કોર્ટે વોરંટ કાઢ્યું છે.
રેશમા પહેલા સામે નીકળેલા કોર્ટ વોરંટ બાબતે વાત કરવામાં આવે તો વર્ષ 2017માં મહેસાણામાં ઉના કાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં એક આઝાદી કુચનું આયોજન કરાયું હતું. આ આઝાદી કુચ સમયે જાહેરનામાના ભંગ બદલ 12 જેટલા લોકો સામે મહેસાણાના A ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં જિગ્નેશ મેવાણી અને રેશમા પટેલનો પણ સમાવેશ થાય છે. આ રેલીમાં ઉપસ્થિત આગેવાનોએ સરકાર સામે અંકારા પ્રહારો કર્યા હતા. આ આઝાદી કુચમાં કનૈયા કુમાર પણ ઉપસ્થિતિ રહ્યા હતા. જાહેરનામાં ભંગના ગુનામાં કોર્ટની મુદતમાં રેશમા પટેલ હાજર ન રહેતા તેમના વિરુદ્ધમાં એક વોરંટ કાઢવામાં આવ્યું છે.