મહિલાઓમાં અમુક ઉંમરે માસિક ધર્મ બંધ થાય તેને રજોનિવૃત્તિ એટલે કે મોનોપોઝ કહેવામાં આવે છે. રજોનિવૃત્તિ સ્ત્રીઓના જીવનમાં આવતો એક મહત્વનો બદલાવ છે. પ્રથમ વખતે માસિક ધર્મ શરૂ થતાં જે એક સારો આવેગ અને લાગણી અનુભવાય છે તે રજોનિવૃત્તિના સમયમા ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 830 મહિલાઓ પર સરવે કર્યો છે. જેમાં ફાસ્ટફૂડના કારણે મહિલાઓમાં માસિક ધર્મ પહેલા 50 વર્ષની ઉંમરે બંધ થતું હતું એ હવે 40 વર્ષની ઉંમરે બંધ થવા લાગ્યું હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. તેમજ રજોનિવૃત્તિમાં સ્ત્રીઓને નવયુવાનો પ્રત્યે ખૂબ જ ઇર્ષ્યા થાય છે.
શારીરિક પરિવર્તનની ઘણી માનસિક અસરો થાય છે. ઘણા કિસ્સામાં તો ઘરમાં જે સાસુ અને વહુના ઝઘડાઓ થાય તેમાં પણ મેનોપોઝની ક્યાંક અસરો જોવા મળે છે. સામાન્ય રીતે દીકરો પરણાવતી સ્ત્રીની ઉંમર 48થી 52 આજુબાજુ હોય છે અને આ જ સમય મોનોપોઝ અવસ્થાનો પણ છે. મોનોપોઝમાં આવતી સ્ત્રીને નવયુવાન પ્રત્યે ખૂબ જ ઇર્ષ્યા અને અદેખાઇનો આવેગ હોય છે.
મોનોપોઝમાં સંગીત સાંભળવું ફાયદાકારક
આપણા શરીરમાં વિવિધ હોર્મોન્સ આવેલા છે જે આપણા પર ઘણી અસરો કરે છે. જ્યારે આપણે આપણને ગમતું સંગીત સાંભળીએ છીએ ત્યારે સેરોટોનિન, ડોપમાઇન, એન્ડોરફીન, ઓક્સીટોસીન હોર્મોન રિલીઝ થાય છે. જેમાંથી ઘણા હોર્મોન્સ જેમ કે ડોપમાઇન આપણને ખુશીનો અનુભવ કરાવે છે. માટે જ્યારે મૂડ ફેરફાર કે ગુસ્સો આવે ત્યારે સારું સંગીત એક થેરાપીની ભૂમિકા ભજવે છે.