પંજાબ નેશનલ બેંકના લોકરમાં રાખેલા લાખો રૂપિયાને ઉધઈ લાગી. ઉધઈએ રૂ. 2.15 લાખનો નાશ કર્યો હતો. જ્યારે લોકર માલિક પૈસા લેવા પહોંચ્યા તો લોકરમાં મુકેલી ચલણી નોટો જોઇને હોશ ઉડી ગયા. આ મામલો ઉદયપુરની કાલાજી-ગોરાજી શાખાનો છે. હિરણમાગરીના રહેવાસી મહેશ સિંઘવીએ જણાવ્યું કે તેણે તેની પત્ની સુનીતા મહેતાના નામે બ્રાન્ચમાં લોકર લીધું હતું અને લોકર નંબર છે 265. ગયા વર્ષના મે મહિનામાં મહિલાએ લોકર ખોલ્યું હતું ત્યારે બધી નોટો સુરક્ષિત હતી, પરંતુ ગુરુવારે લોકર ખોલ્યું તો નોટો ઉધઇને કારણે પુરી ખવાઇ ગઇ હતી.
ઉદયપુરની પંજાબ નેશનલ બેંકમાં લોકર ધરાવતા સુનિતા મહેતા ગુરુવારે બેંકમાં ગયા હતા અને પોતાનું 265 નંબરનું લોકર ખોલ્યું હતું. લોકર ખોલીને જોયું તો 50ની નોટના બંડલ હતા જે કુલ 15,000 રૂપિયા હતા. ઉપરાંત એક થેલીમાં 500-500ની નોટના બંડલ હતા જે ઉપરથી બરાબર હતા. બેંક મેનેજરને ફરિયાદ કરી તો 15,000 રૂપિયા બદલી આપ્યા હતા. પરંતુ ઘરે જઇને નોટના બંડલો ચેક કર્યા તો 2 લાખ રૂપિયાની નોટો એવી નિકળી જેની પર ઉધઇ લાગી ગઇ હતી. ઉધઇને કારણે નોટોના કાગળનો પાવડર થઇ ગયો હતો.
સુનિતાએ આરોપ લગાવતા કહ્યું કે, બેંક મેનેજમેન્ટે પેસ્ટ કંટ્રોલ કરાવ્યું નથી, એટલે લોકરમાં પડેલી કેશને ઉધઇ લાગી ગઇ છે. લોકરની અંદરનો અન્ય સામાન પણ ખરાબ થવાની આશંકા છે.
સુનિતાના નાનાભાઇ મનોજ લોઢાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા મોટા બહેનનું બેંકમાં લોકર છે. મોટી બહેનના ફુઆજીનું અવસાન થવાને કારણે સગા સંબંધીઓને કવરમાં રૂપિયા મુકીને આપવાનો રિવાજ છે. એટલી રૂપિયાની જરૂરિયાત ઉભી થતા હું અને મારી બહેન સુનિતા બેંકમાં લોકર ખોલવા ગયા તો નોટોની હાલત જોઇને અમારા હોંશ ઉડી ગયા હતા.
હવે સુનિતાના લોકરની નોટો પર ઉધઇ લાગી હોવાની વાત સામે આવી તો બેંક મેનેજમેન્ટને ચિંતા થઇ કે બાકીના 20થી 25 જેટલાં લોકરોમાં પણ ક્યાંક ઉધઇ ન લાગી ગઇ હોય. જો કે આ બેંકની લાપરવાહી છે.
PNBના સિનિયર મેનેજર પ્રવીણ કુમાર યાદવે કહ્યું હતું કે, ગ્રાહકોને થઇ રહેલા નુકશાન અંગે ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપી દેવામાં આવી છે. જે લોકોના અમારી બેંકમાં લોકર છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે, જેથી તેમના લોકર ચેક કરી શકે.