ચમોલી (ઉત્તરાખંડ) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 25 મે (શનિવાર)ના રોજ બદ્રીનાથ ધામના દર્શન માટે આવ્યા હતાં. દર્શન બાદ અંબાણી ગીતાપાઠમાં પણ સામેલ થયા હતાં. અબજોપતિ બિઝનેસમેન ચંદન તથા કેસરની ખરીદી માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતીને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સાથે જ વિશ્વાસ આપ્યો છે કે બદ્રીનાથ ધામ માટે ચંદનની અછત ના વર્તાય તે માટે તમિલનાડુમાં ધીરુભાઈ અંબાણીના નામે ચંદનનું જંગલ ખરીદશે.
અવાર-નવાર આવે છેઃ
મુકેશ અંબાણી પરિવાર સાથે અવાર-નવાર બદ્રીનાથ આવે છે. નવેમ્બરમાં દીકરી ઈશાના લગ્નની કંકોત્રી ભગવાનને આપવા માટે અહીંયા આવ્યા હતાં. તે સમયે બંને મંદિરમાં 51-51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. મુકેશ અંબાણીના નાના દીકરા અનંતને આ જ વર્ષએ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતીમાં સામેલ કરવામાં આવ્યો છે.