મુંબઈ એરપોર્ટ પર આજે ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો હતો. નાગપુરથી ટેકઓફ વખતે એક એરક્રાફ્ટનું પૈડું નીકળી ગયું હતું. આ વિમાનનું મુંબઈ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ એક એર એમ્બ્યુલન્સ હતી, જેમાં પાંચ લોકો સવાર હતા. જે દર્દીને લઈને નાગપુરથી હૈદરાબાદ જતી હતી.
પ્રાપ્ત વિગત મુજબ C-90 એરક્રાફ્ટ નાગપુરથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. આ એર એમ્બ્યુલન્સમાં પાંચ લોકો સવાર હતા.જેમાં બે ક્રુ મેમ્બર, એક ડૉક્ટર અને દર્દી સામેલ છે. આ વિમાન જેવું નાગપુર એરપોર્ટથી ટેકઓફ કરતું હતું ત્યારે જમણી બાજુનું પૈડું નીકળીને રન-વેથી દૂર ગ્રાઉન્ડ પર ફંગોળાયું હતું. પૈડું નીકળી જવાની જાણકારી બાદમાં પાયલોટને મળી હતી. તેણે ફ્લાઈટને હૈદરાબાદ લઈ જવાને બદલે સ્થિતિની ગંભીરતાને જોતા એરક્રાફ્ટનું મુંબઈ એરપોર્ટ પર ગુરૂવાર સાંજે 9.19 વાગ્યે બેલી લેન્ડિંગ કરાવ્યું હતું.
પ્લેનનું સલામત રીતે બેલી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેનમાં સવાર દર્દીને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ ન લાગે એટલે રન-વે પર ખૂબ ફોર્મ પાથરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ પ્લેન પર પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો, જેથી આગ ન લાગે.
સિવિસ એવિએશનના ડીજી અરુણ કુમારે જણાવ્યું હતું કે ઘટના પછી અમે ખૂબ પરેશાન હતા. પાયલોટને કહેવામાં આવ્યું હતુ કે તેણે કેવી રીતે લેન્ડિંગ કરવાનું છે. પ્લેનને પાયલોટ કેશરીસિંહ ઉડાવી રહ્યા હતા. તેણે જમાવ્યું કે તેને પૈડું અલગ થઈ જવાની જાણકારી મળી હતી. એટલા માટે બેલિ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મને નથી ખબર કે આનાથી રન-વેને નુકશાન થયું છે કે નહીં, પણ આનંદની વાત છે કે કોઈને કંઈ નુકશાન નથી પહોચ્યું.
બેલિ લેન્ડિંગ અથવા ગિયર-અપ લેન્ડિંગ ત્યારે થાય છે જ્યારે કોઈ વિમાન તેના લેન્ડિંગ ગિયર વગર લેન્ડ થાય છે. વિમાન આવી વખતે મુખ્ય લેન્ડિંગ ડિવાઈસ તરીકે પોતાની અન્ડરસાઈટ અથવા બેલીનો ઉપયોગ કરે છે.
મુંબઈ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાયેલા એરક્રાફ્ટની તસવીર