વહુ પણ દીકરીઓ જેવી જ હોય છે, મધ્યપ્રદેશના ધારના એક પરિવારે આ દ્રષ્ટાંતને સાચું સાબિત કરી બતાવ્યું છે. વાસ્તવમાં કોરોનાકાળમાં આ પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો હતો અને તેના કારણે તેમની પુત્રવધુ વિધવા થઈ ગઈ. આ પછી સસરાએ પુત્રવધૂને દીકરીની જેમ રાખી હતી અને એક વર્ષ પછી તેણે ફરીથી તેના લગ્ન કરાવ્યા અને એટલું જ નહીં તેને ગિફ્ટમાં બંગલો પણ આપ્યો હતો.
ધાર શહેરના રહેવાસી યુગ તિવારીએ પોતાની વિધવા વહુ રિચા તિવારીના લગ્ન નાગપુરના રહેવાસી વરુણ મિશ્રા સાથે અક્ષય તૃતીયા પર કરાવ્યા હતા. હકીકતમાં, યુગ તિવારીના પુત્ર પ્રિયાંક તિવારીનું 25 એપ્રિલ, 2021ના રોજ કોરોનાથી અવસાન થયું હતું. સસરાનું કહેવું છે કે, તેમનો જમાઈ વરુણ હોસ્ટેલ સંચાલક અને પ્રોપર્ટી બ્રોકર છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, 27 નવેમ્બર, 2011ના રોજ તેના પુત્ર પ્રિયાંકના લગ્ન રિચા સાથે થયા હતા.
યુગ નિવૃત્ત SBI AGMછે. પ્રિયાંક ભોપાલની નેટલિંક કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર હતો અને તેની પોસ્ટિંગ ભોપાલમાં જ થઈ હતી. વર્ષ 2013-14માં તેમને એક દીકરી હતી. તેનું નામ આન્યા તિવારી છે. લગ્ન બાદ આન્યા પણ પોતાની માતા સાથે નાગપુર જતી રહી છે. પ્રિયાંકના મૃત્યુ બાદ કંપનીએ આ જોબ તેની પત્ની રિચાને આપી દીધી હતી.
સંપૂર્ણ ખર્ચ પોતાની જાતે જ ઉઠાવ્યો હતો
યુગનું કહેવું છે કે, તે પોતાની વહુને દીકરી માને છે. તેને રિચા અને આન્યાના ભવિષ્યની ચિંતા હતી. તેથી તેણે એક વર્ષ સુધી પુત્રવધૂ માટે લાયક મુરતિયો શોધ્યો. ત્યારબાદ તેણે રિચાના માતા-પિતા સાથે આ અંગે વાત કરી અને તેમની સહમતીથી સાસરીયાઓએ માતા-પિતા બનીને વહુની વિદાય કરાવી.
તિવારી પરિવારે પોતાની પુત્રવધૂ કન્યાદાનના લગ્ન સહિત દરેક વિધિ જાતે જ કરી હતી. લગ્નનો આખો ખર્ચ પણ તેમણે જાતે જ ઉપાડી લીધો હતો અને વહુને પૂરા ધામધૂમથી વિદાય આપી હતી. વળી, નાગપુરમાં તેમના પુત્ર પ્રિયાંકે જે બંગલો ખરીદ્યો હતો. તે બંગલો પણ તેણે પોતાની વહુને આપ્યો હતો.