ભારતમાં 2022નું નૈઋત્યનું ચોમાસુ સતત ચોથા વરસે પણ સામાન્ય રહે તેવી શક્યતા છે. એટલે કે આ વરસે દેશમાં સરેરાશ 98 ટકા જેટલી વર્ષા થવાની સંભાવના છે. એવો વરતારો હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધર સર્વિસીસે આપ્યો છે.
સ્કાયમેટનાં સૂત્રોએ એવો સંકેત પણ આપ્યો હતો કે, 2022ની વર્ષા ઋતુમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા એમ પાંચ રાજ્યોમાં મેઘરાજા રસતરબોળ વરસે તેવાં કુદરતી પરિબળો છે. આમ આ વરસનું ચોમાસુ મહારાષ્ટ્રની ખેતી અને ખેડૂત બંને માટે સાનુકુળ રહે તેવી આગાહી છે.
કાયમેટ વેધર સર્વિસીસના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જૂન-સપ્ટેમ્બરના ચાર મહિનાના ચોમાસા દરમિયાન આખા ભારતમાં સરેરાશ વર્ષા 98 ટકા જેટલી થવાની સંભાવના છે. શરૂઆતના જૂન, જુલાઇના બે મહિના દરમિયાન દેશમાં વરૂણ દેવની ભરપૂર કૃપા રહે તેવાં સાનુકુળ પરિબળો છે.
ત્યારબાદ જોકે જુલાઇ-સપ્ટેમ્બરમાં દેશમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે તેવી પણ સંભાવના છે. આ સમયગાળામાં ગુજરાત, રાજસ્થાન, ઇશાન ભારતનાં રાજ્યો (મણીપુર, મેઘાલય,નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા)માં મેઘરાજાની મહેર ઓછી રહે તેવી પણ શક્યતા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ થોડો મંદ રહે તેવી શક્યતા ખરી.
આમ છતાં આ રાજ્યોમાં દુકાળની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય તેટલો ઓછો વરસાદ પણ નહીં વરસે. 2022ની વર્ષા ઋતુનું મહત્વનું સાનુકુળ પાસું એ પણ હશે કે સમગ્ર વિશ્વના હવામાન પર અસર કરતું લા નીનાની અસર તબક્કાવાર ઘટતી જશે અને ઘણા અંશે તે પરિબળ ન્યુટ્રલ પણ થઇ જશે.
બીજીબાજુ ભારત હવામાન ખાતાની હેડ ઓફિસ દિલ્હીના સિનિયર વિજ્ઞાાની ડો. જેના મણીએ ગુજરાત સમાચારને એવો સંકેત આપ્યો હતો કે અમે લગભગ 15,એપ્રિલે 2022ના ચોમાસા વિશે લાંબાગાળાની આગાહી રજૂ કરીશું.