સીકરઃ રાજસ્થાનના શેખાવટી અંચલમાં સામાજીક પરિવર્તનની શરૂઆત જોવા મળી રહી છે. બાગની સીકર જીલ્લાના ગદામ નાંગલમાં એક પિતાના મોત બાદ 8 વર્ષીય દીકરીના માથે પાઘડી બાંધવામા આવી હતી. આ વિધિ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.
ગામના પૂર્વ પંચ રહેલા 40 વર્ષીય સતીશ પારીકનું કોરોનાને કારણે નિધન થયું હતું. સતીશ મહારાષ્ટ્રમાં કામ કરતા હતા. કોરોનાની બીજી લહેરમાં તેઓ પણ સંક્રમિત થયા હતા અને પછી મોતને ભેટ્યા હતા. તેથી અસ્થિ વિસર્જન અને પાઘડી સંસ્કારનો કાર્યક્રમ ટાળવામા આવ્યો હતો.
હાલમાં જ સતીશ પારીકના નિધન બાદનું તેરમાનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં સતીશની પત્ની શ્રદ્ધાએ જણાવ્યું કે, તેમના પતિ 8 વર્ષીય વાની અને 9 મહિનાની જયશ્રીને દીકરો જ માનતા હતા. આ કારણે પાઘડી વાની પરીકના માથે બાંધવામા આવી છે.
પરિવારજનો અને સમાજના આગેવાનોએ પણ આ કાર્યની પ્રશંસા કરી હતી. સતીશના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેની પત્ની શ્રદ્ધાએ સરકારે મદદ કરવી જોઈએ તેવી માંગ કરી હતી.
વાસ્તવમાં રાજસ્થાનમાં વર્ષોથી પરંપરા ચાલે છે કે, પિતાના મોત બાદ દીકરાને ઉત્તરાધિકારી માનતા તેરમાના દિવસે પાઘડી બાંધવાની વિધિ કરવામા આવે છે. દીકરો ના હોય તેવા પરિવારમાં અન્ય કોઈ દીકરાને પાઘડી બાંધવામા આવતી હતી, જોકે હવે દીકરીઓને જ દીકરો માની પાઘડી બાંધી સમાનતાનો સંદેશ આપવામા આવી રહ્યો છે.