એક ખૂબ જ શોકિંગ અને આઘાતજનક બનાવ સામે આવ્યો છે. જે ઘરે લગ્ન ગીતો ગવાતા હતા ત્યા હવે મરસિયા ગવાઈ રહ્યા છે. વરરાજા સહિત 9 જેટલા જાનૈયાઓને લઈને જઈ રહેલી કાર નદીમાં ખાબકી હતી. ઘટનામાં તમામના કારની અંદર દર્દનાક મોત થયા છે. નદીમાં વરરાજાનો સાફો તરી રહ્યાની એક હચમચાવતી તસવીર સામે આવી છે. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈન જઈ રહી હતી
આ દુખદ બનાવ રાજસ્થાનમાં બન્યો હતો. કોટો જિલ્લાના નયાપુરની પાસેની છોટી પુલિયા પરથી કાર નદીમાં ખાબકી હતી. જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા જઈ રહી હતી. તમામ 9 લોકો એક જ કારમાં સવાર હતા. વિષ્ણુ શ્રૃંગીએ જણાવ્યું કે દુર્ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે ઘટી હતી. કોઈ રસ્તે ચાલતા વ્યક્તિએ ચંબલ નદીમાં કારને પલટી ખાતા જોઈ હતી. તે પછી વહેલી સવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી કારને બહાર કાઢી લેવામાં આવી હતી. તમામ શબને એમબીએસની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
કારમાં વરરાજાના મિત્ર અને સંબંધી હતા
મૃતકોમાં વરરાજા અવિનાશ વાલ્મિકિ પણ સામેલ છે. પરિવારે જણાવ્યું કે કારમાં અવિનાશની સાથે દોસ્ત અને કેટલાક સંબંધીઓ હતા. તેની સાથે જાનૈયાઓની એક બસ પણ જઈ રહી હતી, જે આગળ નીકળી ગઈ હતી. આ બસમાં 70 લોકો સવાર હતા. આ લોકો બરવાડાથી 2 વાગ્યે રવાના થયા હતા.
તે પછી તમામ લોકો કેશોરાયપાટનમાં ચા પીવા માટે રોકાયા હતા. તે પછી બસ આગળ નીકળી ગઈ હતી. જ્યારે બસ કોટા પાર કરી ગઈ હતી, તો તેમાં બેઠેલા જાનૈયાઓને લાગ્યું કે કાર ઘણી દૂર રહી ગઈ છે. પછીથી સમાજના લોકોએ ફોન કરીને માહિતી આપી કે કાર ચંબલમાં પડી ગઈ છે.
6 મૃતકો જયપુરના રહેવાસી છે
આ અકસ્માતમાં વરરાજા અવિનાશ, વરરાજાના ભાઈ કેશવ, કાર ડ્રાઈવર ઈસ્લામનું મોત થયું હતું. બાકીના મૃતકો જયપુરના રહેવાસી હતા. જેમાં જયપુરના ટોંક ફાટકના રહેવાસી કુશલ અને શુભમ,ટ્રાન્સપોર્ટ નગરના રહેવાસી રાહુલ, ટોંક ફાટકના રહેવાસી રોહિત, ઘાટગેટના રહેવાસી વિકાસ, માલવિયા નગરના રહેવાસી મુકેશનું મૃત્યુ થયું હતું.