મુંબઈઃ દેશની નવરત્ન કંપનીઓમાં ટાટા પણ સામેલ છે અને ટાટા ગ્રૂપના પ્રમુખ રતન ટાટાએ 18 વર્ષીય એક યુવા અર્જુન દેશપાંડેની દવા વેચતી કંપની જેનેરિક આધારમાં 50 ટકા ભાગીદારી ખરીદી છે. રસપ્રદ વાત એ છે કે, અન્ય દવા વેચતી કંપનીઓની સરખામણીએ જેનરિક આધાર ઘણી સસ્તી કિંમતે દવા વેચી રહી છે. જેનેરિક આધાર રિટેલ દુકાનદારોને માર્કેટ રેટ કરતા સસ્તી કિંમતે દવા વેચે છે.
અર્જુન દેશપાંડેએ જણાવ્યું કે, ટાટા સમૂહના માલિક રતન ટાટાએ નવા પ્રસ્તવાને 3-4 મહિના પહેલા જ ધ્યાને લીધું હતું. રતન ટાટા, જેનેરિક આધાર કંપનીમાં ભાગીદારી ખરીદવા માંગતા હતા. આ સાથે તેઓ અર્જુન દેશપાંડેના મેન્ટોર પણ બનવા માંગતા હતા. રતન ટાટા અને જેનેરિક આધાર કંપની એક બીજાના પાર્ટનર બનશે અને તેની ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે.
અર્જુન દેશપાંડેએ જેનરિક આધાર કંપનીની શરૂઆત 2 વર્ષ અગાઉ કરી હતી. ત્યારે તે માત્ર 16 વર્ષનો હતો અને હવે તેની કંપની દરવર્ષે 6 કરોડ રૂપિયાની રેવેન્યૂ જનરેટ કરવાનો દાવો કરે છે. રતન ટાટાએ જેનેરિક આધાર કંપનીમાં વ્યક્તિગત સ્તરે રોકાણ કર્યું છે. આ રોકાણ ટાટા ગ્રૂપ સાથે જોડાયેલું નથી. રતન ટાટા આ પહેલા દેશના ઘણા મોટા સ્ટાર્ટઅપમાં નિવેશ કર્યું છે. જેમાં ઓલા, પેટીએમ, સ્નેપડીલ, ક્યોરફિટ, અર્બન લેડર, લેન્સકાર્ટ અને લાઈબ્રેટ સામેલ છે.
જેનરિક આધાર પ્રોફિટ શેરિંગ મૉડલ પર ચાલે છે. આ કંપની હાલ ધીમે-ધીમે આગળ વધી રહી છે. મુંબઈ, પુણે, બેંગલુરુ અને ઓડિશામાં 30થી વધુ રિટેલર 18 વર્ષીય અર્જુનની કંપની સાથે જોડાઈ ચૂક્યા છે. જેનેરિક આધારમાં ફાર્મિસ્ટ, આઈટી એન્જિનિયર અને માર્કેટિંગ વિભાગમાં કુલ 55 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. એવું મનાય છે કે, આ કંપની યુવાઓ માટે એક પ્રેરણારૂપ છે, એક 18 વર્ષીય યુવકના સ્ટાર્ટઅપ સાથે રતન ટાટા જેવા દિગ્ગજ બિઝનેસમેન જોડાઈ ચૂક્યા છે.
અર્જુન દેશપાંડેએ કહ્યું કે, તેઓ આગામી 1 વર્ષમાં 1 હજાર નાની ફ્રેન્ચાઈઝી ખોલવાની રણનીતિ બનાવી છે. હાલ કંપની મુખ્યરીતે ડાયાબિટીઝ અને હાઈપરટેંશનની દવાઓની સપ્લાઈ કરે છે, પરંતુ કંપની વહેલી તકે કેન્સરની દવાઓ પણ સસ્તા દરે વેચશે. અર્જુને કહ્યું કે,‘અમારી યોજનાના ભાગરૂપે અમે દેશમાં પાલઘર, અમદાવાદ, પુંડુચેરી અને નાગપુરમાં 4 WHO-GMP પ્રામાણિત મેન્યુફેક્ચરર્સ સાથે ટાઈઅપ કર્યું છે. આ ઉપરાંત કેન્સરની દવાઓ ખરીદવા માટે હિમાચલ પ્રદેશના એક મેન્યુફેક્ચરર સાથે ટાઈઅપ કરાશે.’
અર્જુનના માતા-પિતા પણ બિઝનેસ ચલાવે છે, તેમની પાસેથી મળેલા ફંડના આધાર પર જ અર્જુને બિઝનેસ શરૂ કર્યો હતો. અર્જુન દેશપાંડેની માતા એક ફાર્મા માર્કેટિંગ કંપનીમાં પ્રમુખ છે. આ કંપની સમગ્ર વિશ્વમાં ફાર્મા ડ્રગ્સ વેચે છે. જ્યારે તેના પિતાની ટ્રાવેલ એજન્સી છે. અર્જુને જણાવ્યું કે, તે પોતાની માતા સાથે અમેરિકા, દુબઈ અને અન્ય દેશોમાં ફાર્માસ્યુટિકલ ઈવેન્ટમાં સામેલ થયો હતો. માતા સાથેની આ ઈવેન્ટ્સમાં સામેલ થવા દરમિયાન જ તેને બિઝનેસનો આઈડિયા મળ્યો હતો.
દેશમાં 80 ટકા દવાઓ એવી વેચાય છે, જેને 50 હજારથી વધુ કંપનીઓ બનાવે છે. આ તમામ કંપનીઓ 30 ટકા જેટલું માર્જીન ચાર્જ કરે છે. જે 30 ટકામાંથી 20 વેપારીનું અને 10 ટકા રિટેલરનું માર્જીન હોય છે.