સતાધાર: સોમવારે રાત્રે 10 વાગે સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. ઘણાં દિવસોથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મંગળવાર એટલે આજે સવારે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા નીકળશે.
આ પાલખીયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જોડાશે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ આપવામા આવશે. ગત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવરાજ બાપુની ખબર અંતર પૂછ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જીવરાજ બાપુને ન્યુમોનિયા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.
સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ…!!!
— Vijay Rupani (@vijayrupanibjp) August 19, 2019
મહંત જીવરાજ બાપુનાં નિધનનાં સમાચાર મળતાં તેમનાં સેવકો મોટી સંખ્યામાં રાતે જ સતાધાર પહોંચી ગયા હતાં. જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો અને નાની વયે જ સત્તાધારની જગ્યામાં આવી ગયા હતા અને વર્ષ 1982માં મહંત બન્યા હતા.