બુદ્ધિની દૃષ્ટિએ આખા વિશ્વમાં ગુજરાતીઓને કોઈ ન પહોંચી વળે. ગુજરાતી પ્રજા માટે કહેવાય છે કે એ કાશ્મીરમાં જઈ બરફ વેચીને રૂપિયા કમાઈ શકે છે. વ્યાપાર અને ધંધા માટે આમ પણ ગુજરાતી પ્રજા પંકાયેલી છે અને મોકો મળતાં જ પોતાનો કુનેહ બતાવી જાણે છે. આ વાતને સાબિત કરતી ઘટના થોડા સમય પહેલાં જ અમદાવાદમાં બની છે, જેમાં બાપુનગરના એક વેપારીના ખાતામાં ભૂલથી 116 અબજથી પણ વધુની રકમ જમા થઈ ગઈ હતી. જોકે વેપારીએ પણ પોતાની વેપારી બુદ્ધિ વાપરીને એમાંથી અડધો કલાકમાં જ લાખો રૂપિયાનો નફો કમાઈ લીધો હતો અને પછી મૂળ રકમ પરત કરી દીધી હતી.
કોઈ ફિલ્મને ટક્કર મારે એવી આ રિયલ ઘટના તમને ચોંકાવી દેશે. માઈન્ડનો યુઝ કરી કલાકોમાં લખપતિ બની ગયેલા વેપારી સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. જેમાં ખૂબ નવાઈ પમાડે તેવા ખુલાસા થયા હતા. આ નસીબદાર વેપારીનું નામ રમેશભાઈ સગર છે. મૂળ પોરબંદરના વતની અને છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા રમેશભાઈ સગર એમ્બ્રોઇડરીના વેપારી છે. તેઓ છેલ્લાં 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત પિતા છે. ઘરમાં કમાનાર તેઓ એકલા છે.
એ દિવસે..
જિંદગી બદલી નાખનાર ક્ષણોને યાદ કરીને રમેશભાઈ સગર જણાવે છે કે 26 જુલાઈના દિવસે રોજની જેમ સવારે 9.30 વાગ્યે ટ્રેડિંગ કરવા બેઠો હતો. 2-3 સોદા કર્યા, પણ એ દિવસે માર્કેટમાં એટલી બધી મૂવમેન્ટ નહોતી. પછી 11.30 સુધી રાહ જોઈ. અચાનક એ વખતે મેં બેલેન્સ ચેક કર્યું તો મારી આંખો પહોળી થઈ ગઈ. મારા ખાતામાં 1 ખર્વ 16 અબજ 77 કરોડ એટલા રૂપિયા આવ્યા હતા.
પૈસા બેન્કના છે તો તે પાછી લેવાની જ છે
મારા ખાતામાં આટલી મોટી રકમ જમા થતાં અચાનક મને વિચાર આવ્યો કે થોડા ટાઈમ માટે જ રૂપિયા આવ્યા છે, બેન્ક તો પાછા રૂપિયા લઈ જ લેશે તો એને અડધો કલાક- કલાક માટે ઇન્વેસ્ટ કરું અને જે પ્રોફિટ નીકળે એ બુક કરીને પાછા નીકળી જઈએ. આ આઇડિયા મારો હતો. પહેલાં ક્યારેય આવું બન્યું નહોતું. ટ્રેડિંગ હું રોજ કરું છું, પરંતુ એ મેક્સિમમ 25 હજાર રૂપિયાનું જ કરતો હતો. 1 ખર્વ 16 અજબ 77 કરોડ એટલા રૂપિયા આવ્યા હતા. મને એ ખબર જ હતી પૈસા બેન્કના છે તો બેન્ક પછી લેવાની જ છે.
30 મિનિટમાં પ્રોફિટ બુક કરી લીધો
એ દિવસે બપોરે 12 વાગ્યે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું અને 12.30 સુધી કર્યું. એ પછી મેં પ્રોફિટ બુક કરી લીધો. એ જે મોટી રકમ આવી એનું સાંજે 8 વાગ્યે સેટલમેન્ટ થયું. મારો જે નફો હતો એ મને આપી દીધો અને તેમના રૂપિયા જે ભૂલથી આવ્યા હતા એ પાછા લઈ લીધા. એ રૂપિયા બેંકમાંથી આવ્યા કે શેમાંથી આવ્યા એ ખબર નથી, પરંતુ મારા ડિમેટ એકાઉન્ટમાં આવ્યા હતા, એટલે શેરમાર્કેટના જ હશે અથવા તો કોઈ એરરને કારણે આંકડા ચડી ગયા હશે. બાકી એકસાથે એટલું બધું બેલેન્સ ક્યારેય ન આવે. એ પછી મારા ખાતામાં 5.64 લાખ રૂપિયા બચ્યા હતા. એ રૂપિયા મેં બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે.
નુકસાનીનો ડર હતો કે કેમ?
મેં ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી લગભગ 2 કરોડ રૂપિયા બેન્ક નિફ્ટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યું હતું. એ વખતે રૂપિયા શેરમાર્કેટમાં લગાવ્યા ત્યારે નુકસાનીનું એક સમયે વિચાર્યું હતું, પણ શેરમાર્કેટનું નોલેજ હતું એટલે વધુ પડતી બીક ના લાગી કે આપણે આમાં લોસ કરીને નીકળીશું. આઇડિયા હતો જ કે માર્કેટ આ રીતે જ ચાલશે.
ડિસિઝન તરત જ લઈ લઉં છું
રૂપિયા જોઈને હેપી ફીલિંગ આવી હતી. વિચાર્યું જ નહોતું ને 5 લાખ રૂપિયાનો પ્રોફિટ અચાનક જ મળી ગયો, એટલે સારું લાગ્યું. આ ઘટના હવે તો ઘણી જાહેર થઈ ગઈ છે. આસપાસના લોકો અને પરિવારે પણ કહ્યું કે બેલેન્સ આવ્યું ને ઇન્વેસ્ટ કર્યા. આટલું મગજ ચાલ્યું એ બહુ સારી વાત કહેવાય. પોતાના ડિસિઝન પાવર અંગે તે કહે છે કે xyz ગમે તે થયું હોય, ડિસિઝન તો તરત જ લઈ લઉં છું.
કેવી રીતે આવ્યા શેરમાર્કેટમાં..
મારો એક મિત્ર હતો. એ શેરમાર્કેટનું કરતો હતો. તેણે મને કહ્યું હતું કે શેરમાર્કેટમાં થોડું ઇન્વેસ્ટ કર તો સારું રહેશે. ત્યારથી 4-5 વર્ષથી થોડું થોડું શેરમાર્કેટનું કામકાજ પણ કરું છું. એ મિત્રને જાણ થઈ કે નહીં એ વિશે રમેશભાઈ કહે છે કે એ હાલ બહારગામ છે અને કોઈ કોન્ટેક્ટમાં નથી.
મિત્રોને ખબર પડી તો પાર્ટી માંગી
આસપાસના મિત્રોને જાણ થઈ ત્યારે પાર્ટી આપવા માટે બધાના બહુ ફોન આવ્યા હતા કે ‘ભાઈ, પાર્ટી જોઈશે.’ મે કહ્યું, ‘એક વખત પૈસા પાછા આવવા દો.’ એ કહે છે કે 500 જેટલા ફોન આવ્યા હતા. એક-એકને પણ પાર્ટી કરાવીશ તો અડધા રૂપિયા તો પાર્ટીમાં જ વપરાઈ જાત. પછી મોટી પાર્ટી કરીએ. ઇન્વેસ્ટ કરવા બાબતે તેમણે પણ કહ્યું કે બહુ સારું કર્યું. બહુ સારો નિર્ણય લીધો.
આ ઘટના કેવી રીતે બહાર આવી?
આખી વાત બહાર કેવી રીતે આવી એ અંગે રમેશભાઈ કહે છે કે આ ઘટના મેં મારા એક સ્થાનિક મિત્રને કહી હતી. એ પણ મીડિયાનો માણસ છે. તેણે કહ્યું કે આ તો સમાચાર બને એમ છે અને એ રીતે આખી ઘટના બહાર આવી.
બીજા લોકોમાં પણ આવી રકમ આવી હતી, પણ …
રમેશભાઈ કહ્યું કે એ દિવસે મારી જેમ બિહારમાં પણ એક વ્યક્તિના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા. ત્યાં પણ સેમ એમાઉન્ટ જ ટ્રાન્સફર થઈ ગઈ હતી, પણ તેણે ઇન્વેસ્ટ નહોતા કર્યા. તેણે ફક્ત જોયા રાખ્યું હતું કે બેલેન્સ આવ્યું છે. રમેશભાઈએ કહ્યું કે મોકો મળે એટલે ચોકો મારવો જ પડે.’
પોરબંદરમાં ખેતીકામ કર્યું, અમદાવાદમાં નોકરી કરી
હું 7 ધોરણ સુધી જ ભણેલો છું અને પોરબંદરમાં મારું શિક્ષણ થયું છે. પછી 3-4 વર્ષ ખેતીકામ કર્યું. એ પછી લગભગ 16 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવી ગયો હતો. અહી આવીને એમ્બ્રોઇડરીના કામમાં જ નોકરી કરતો હતો. એમાં કારીગરી કરતો હતો. 4-5 વર્ષ નોકરી કરીને સાલ 2008થી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો.
એમ્બ્રોઇડરીમાંથી 50 હજારની આવક
રમેશભાઈ બાપુનગર ખોડિયારનગર ખાતે રહે છે અને તેમની એમ્બ્રોઇડરીની દુકાન પણ ઘર નજીક જ આવેલી છે. તેમની દુકાન પણ સાવ સામાન્ય છે, જેમાં સાવ ઓછો લગભગ નહિવત્ માલ હતો. તેમના એમ્બ્રોઇડરીના વેપાર અંગેની આવક વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મહિને લગભગ 50 હજાર રૂપિયા જેવું એમાંથી મળી રહે છે, પરંતુ એ આવક 2-3 મહિના જ હોય છે, પછી પાછું બેસી રહેવાનું આવે છે, એટલે ઇન્કમ માટે સાઈડમાં કંઈક કરવું જરૂરી છે.