નવી દિલ્હીઃ મણિપરુથી ઈઝરાયલ જવા માટે 200થી વધુ લોકો દિલ્હી આવી ગયા હતા, પરંતુ કોરોનાને કારણે કોઈ પણ ઈઝરાયલ જઈ શકે તેમ નહોતું. દિલ્હીના કરોલબાગની એક હોટલમાં રોકાયેલા આ લોકો જ્યારે એરપોર્ટ ગયા તો તેમાંથી 40 લોકો પોઝિટિવ આવ્યા હતા. તમામને ગુરુદ્વારા રકાબગંજ સાહિબમાં બનેલા શ્રી ગુરુ તેગબહાદુર કોવિડ કેર સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 40માંથી કોઈને પણ ગંભીર લક્ષણો નથી. આખરે આ લોકો છે કોણ?
ઈઝરાયલ સાથે શું કનેક્શન છે? ઈઝરાયલ જનારા તમામ લોકો બીનેઈ મેનાશે સમુદાયના છે. દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુર તથા મિઝોરમમાં બીનેઈ મેનાશે સમુદાયના 10 હજારથી વધુ યહુદી લોકો રહે છે. આ સમુદાયના લોકો માને છે કે તેમના સંબંધો મેનાશે સમુદાયથી છે. આ સમુદાય ઈઝરાયલના 12 ગોત્રમાંથી એક છે. છેલ્લાં બે દાયકામાં મોટી સંખ્યામાં યહુદી સમુદાયના લોકો ઈઝરાયલ ગયા છે.
યુહદી સમુદાયના લોકો ત્યાં જઈને વસી જવા માગે છે અને ઈઝરાયલ સરકારે તેમને નાગરિકતા પણ આપી છે. મણિપુરના ચુરાચાંદપુરા જિલ્લાના મોટી સંખ્યામાં યહુદી સમુદાયના લોકો ઈઝરાયલમાં જઈને વસી ચૂક્યા છે. સાથે જ હજી વધુ સંખ્યામાં લોકો ત્યાં જવાના છે. ઘણાં લોકો માને છે કે તેમના પૂર્વજો ત્યાં છે અને તેમની ભૂમિ પર પરત જવા ઈચ્છે છે.
વર્ષો પહેલાં આ વાતની જાણ થઈ હતીઃ જોકે, યહુદી સંબંધ 1950માં સ્પષ્ટ થયો હતો. અનેક લોકોએ 1970માં મણિપુરમાં યહુદી ધર્મ માનવવાનું શરૂ કર્યું હતું, જ્યારે તેમને ખબર પડી કે તેઓ બીનેઈ મેનાશેના વંશજો છે. મેનાશે ઈઝરાયલ સમુદાયનું ગોત્ર છે અને 2700થી વધુ વર્ષથી ત્યાં છે. મેનાશે જનજાતિના લોકો માને છે કે સદીઓ પહેલાં પૂર્વોત્તર ભારત તથા આ વિસ્તાર સાથે જોડાયેલા દેશમાં તેમના પૂર્વજો આવીને વસી ગયા હતા. ઘણાં લોકો ચીન પણ ગયા હતા.
મણિપુરના પર્વતીય વિસ્તારમાં રહેતા કુકી વસતીનો એક વર્ગ માને છે કે તેઓ બીનેઈ મેનાશેમાંથી છે. એવું એટલા માટે કે તેઓ સદીઓ પોતાની પ્રાચીન યહુદી પરંપરાનું પાલન કરે છે.
ઈઝરાયલ કેમ બોલાવે છે? પૂર્વોત્તર ભારતમાં બીનેઈ મેનાશે સમાજના 160 યહુદી જ્યારે ઈઝરાયલ જવા માટે દિલ્હી એરપોર્ટ ગયા તો તેમાંથી 40 કોરોના પોઝિટિવ હતા. ભારતમાંથી કુલ 275 યહુદીઓને ઈઝરાયલ જવાનું હતું. ઈઝરાયલમાં ગેર સરકારી સંગઠન શાવી ઈઝરાયલમાં નામશેષ થતી પ્રજાતિના યહુદીઓને પોતાના દેશમાં બોલાવવાનું અભિયાન ચલાવે છે.
જે લોકો ઈઝરાયલ નથી જઈ શક્યા તેઓ કોરોના નેગેટિવ થયા બાદ જઈ શકશે. ઈઝરાયલમાં તેમને સૌ પહેલાં હીબ્રુ ભાષા શીખવવામાં આવશે અને પછી તેમને ઈઝરાયના પૂર્વોત્તર શહેરોમાં વસાવવામાં આવશે.