સુરેન્દ્રનગર એસ.ટી બસ સ્ટેશન પાસે આવેલા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ૦૪ વર્ષથી મુખ્ય સ્વામીની ભૂમિકા નિભાવતા સ્વામીનો મૃતદેહ પાણીના મોટા ટાકામાંથી મળી આવતા ચકચાર ફેલાઇ જવા પામી હતી. ૨૧ વર્ષની ઉંમરે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ થઇ જનાર ૪૪ વર્ષના સ્વામીનુ ટાંકાના ૦૨ ફુટના ઢાકણામાંથી પડી જવાથી મોત થતા અનેક સવાલો ઉભા થયા છે તો બીજી બાજુ સંપ્રદાયના સંતો અને હરીભકતોમાં શોકની લાગણી ફેલાઇ છે.
સુરેન્દ્રનગર એસ.ટી બસ સ્ટેશન પાસે આવેલ સ્વામિનારાયણના મંદિરમાં ૦૪ વર્ષથી મુખ્ય સ્વામી તરીકે અનાદી સ્વરૂપદાસજી ગુરૂ દેવનંદદાસજી સ્વામી મુખ્ય સ્વામી તરીકે સેવા આપતા હતા. જે દરમિયાન ગુરૂવારે સ્વામીની લાશ મંદિરના પાણીના ટાકામાંથી મળી આવી હતી. એક ઢાકણામાં પાણીની મોટર ફીટ કરી છે. આ ટાકામાંથી મૃતદેહ મળતા સ્વામિનારાયણ મંદિરની વડી ગાદી ગાંધીનગર ખાતે આવેલી હોય સ્વામીનો અગ્ની સંસ્કાર ગાંધીનગર કરવામાં આવ્યો હતો. જે અંગે બી ડિવીઝન પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વધુ વિગત જોઈએ તો આગલી રાતે મંદિરનો પાટોત્સવ હતો. અનાદી સ્વામીએ વિધાર્થીઓ અને હરીભકતોને ૧૨.૩૦ વાગ્યા સુધી સતસંગનો લાભ આપ્યો હતો. બાદમાં બધાય સુઇ ગયા હતા. સવારે સ્વામી ૦૫ વાગ્યાની આજુ બાજુ જાગીને પોતાનું નિત્યક્રમ કરતા હતા. સવારે સ્વામી જોવા ન મળતા હરિભક્તોએ શોધ ખોળ કરી હતી જેમાં મંદિરના તમામ રૂમમાં તપાસ કરતા હતા. ત્યારે ઉપરના રૂમની બારી માંથી પાણીના ટાકા પાસે જોતા સ્વામીનું વસ્ત્ર અને મોબાઇલ જોવા મળ્યો હતો. અને ટાકાનું ઢાકણુ ખુલ્લુ હતુ. આથી ત્યા જઇને તપાસ કરી તો સ્વામી દેખાતા ન હતા આથી અંદાજે ૭૫ હજારની લીટરની ક્ષમતા વાળો આખો ભરેલો ટાંકો ખાલી કરતા સ્વામીનો મૃતદેહ દેખાયો હતો.જેને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી.
જ્યારે આ અંગે મંદિરના અદભુત સ્વામીના જણાવ્યા મુજબ મંદિરના પ્રવેશ દ્રાર થી લઈને વિશાળ મેદાન તથા મંદિર પરીસરમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પરંતુ પાછળના ભાગે જયા પાણીનો ટાંકો તથા શૌચાલય છે તે જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવેલા નથી. આથી સ્વામીનું મોત ખરેખર કેવા સંજોગોમાં થયુ તેની મહત્વની કડી હાલ મળી શકે તેમ નથી.
આ મામલે તપાસ કરનાર પોલીસ કર્મચારીના જણાવ્યા મુજબ હાજર રહેલા લોકોના નિવેદન મુજબ સ્વામી મંદિરના વહીવટની સાથે પાણી સહિતની બાબતો જોતા હતા. પોતે ઇલેકટ્રીકનું કામ પણ જાણતા હોય અવાર નવાર પાણીના ટાકા પાસે જતા. તેઓ મોટરનું સેન્સર રીપેર કરવા ગયા હોય અને અકસ્માતે ટાકામાં ડૂબી ગયા ને મોત થયાના નિવેદનો આપ્યા છે પરંતુ પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોત પાછળનું કારણ બહાર આવી શકે તેમ છે. જ્યારે આ બનાવ થી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.