અમદાવાદ: હવે અમદાવાદ સહિત 400 400 રેલવે સ્ટેશન પર સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર 2 ઓક્ટોબરથી પ્રતિબંધ લાગી જશે. ત્યાર બાદ ચા-કોફી માટીની કુલડીમાં અને નાસ્તો કાંચની પ્લેટમાં મળશે. અમદાવાદ સહિત એ-1 અને એ કેટેગરીમાં આવતાં રેલવે સ્ટેશન પર આ નિયમ લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે, લઘુઉદ્યોગ મંત્રી નીતિન ગડકરીએ રેલવે મંત્રી પીયૂષ ગોયલને આ માટે વિનંતી કરી હતી.
આ અંગે રેલવે અધિકારીનાં જણાવ્યાં પ્રમાણે, આ નિયમ લાગુ કરવાથી રેલવે સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બની જશે અને ગ્રામીણ નાના ઉદ્યોગોને વિકાસની તક મળશે. માટીની કુલડી બનાવવા માટે પ્રજાપતિને 30 હજાર ઇલેક્ટ્રિક ચાકડા પણ આપવામાં આવશે.
પ્લાસ્ટિકનાં કપમાં પાણી, ચા, કોફી, કોલ્ડ્રીન્કસ વગેરે પીવાથી આપણને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. આ પાછળ કારણ છે તેની બનાવટ દરમિયાન વપરાતાં હાનિકારક પદાર્થો. અમેરિકી કેમિકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી 52 પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.
પ્લાસ્ટિકની બનાવટમાંથી બનેલા આ પ્લાસ્ટિકનાં કપમાંથી પ્રસરતું ઝેર અતિ સૂક્ષ્મ માત્રામાં હોય છે. જે મારી નાખતું નથી પણ થાઈરોઇડ ગ્રંથી ઉપર ગંભીર અસર કરી પુખ્ત ઉંમરના માનવની યાદશકિત અને નાના બાળકોના માનસિક વિકાસ ઉપર વિપરીત અસર કરે છે.
આ ઉપરાંત સ્ત્રીઓમાં હોર્મોનનું અસંતુલન પેદા થાય છે. આ ઝેરી રસાયણોથી પુરુષ અને સ્ત્રી બંનેની પ્રજનન ક્ષમતા ઉપર અસર પડે છે. ઝેરી રસાયણોથી બનેલા પ્લાસ્ટિકનાં કપ ગર્ભવતી મહિલાઓનાં ગર્ભને પણ નુકશાન કરી શકે છે.