ગાંધીનગર: ગુજરાતમાં પેટા ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોતાના ઉમેદવાર શોધવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ બાયડની બેઠક એનસીપીને ફાળવે તેવી શક્યતા સર્જાતા બાયડના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો મંગળવારે અમદાવાદ સ્થિતિ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે પહોંચી ગયા હતા.
તેમણે એનસીપીને બેઠક સોપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજીબાજુ એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ લડે તેવી શક્યતા બહાર આવતાં વધુ એક વખત શંકરસિંહ વાઘેલા પેટાચૂંટણીના માધ્યમથી ગુજરાતના સક્રિય રાજકારણમાં સક્રિય થશે.
કોંગ્રેસ એનસીપીને બાયડની બેઠક આપશે જેના કારણે વધુ એક વખત બાયડ બેઠક પર અસ્તિત્વનો જંગ જોવા મળશે. બાયડની બેઠક પર એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને લડાવવા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને લડાવવા માટે તૈયારી કરી રહી રહ્યું હોય તેવ ચર્ચાઓ ચાલી રહી છે.
મહેન્દ્રસિંહ વાઘેલા વર્ષ 2012માં અને ધવલસિંહ ઝાલા વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ તરફથી જ લડીને આ બેઠક પર જીત્યા હતા. જોકે બંને 21મી ઓક્ટોબરે યોજાનાર મતદાનમાં ઉમેદવારી નોંધાવે તો વધુ એક વખત મહેન્દ્રસિંહ મારફત શંકરસિંહ રાજકારણમાં સક્રિય થાય કોંગ્રેસના બંને પુર્વ ધારાસભ્યો ચૂંટણી જંગ લડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.