રાજકોટમાં રહેતા કાશ્મીરી પંડિતોની દર્દનાક કહાણીથી ભાવુક થઈ જશો
હાલ સમગ્ર દેશમાં એક જ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે, જેનું નામ છે ‘કાશ્મીર ધ ફાઈલ્સ’. આ ફિલ્મની કહાની સાંભળીને ભલભલાના રૂવાડાં ઉભા થઈ જાય એવી છે. ત્યારે રાજકોટના કાશ્મીરી પંડિત પ્યારેલાલ કાશ્મીરમાં વિતાવેલા દિવસોની ખૌફનાખ હકીકત જણાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મારો જન્મ કાશ્મીરના બારામુલ્લાના એક નાનકડાં ગામમાં થયો હતો. અમે ત્રણ ભાઈ અને બે બહેનો પરિવાર સાથે કાશ્મીરની ધરતી પર રહેતા હતાં. અમારી સાથે અન્ય કાશ્મીરી પંડિતો, શીખ સહિત હિંદુઓ રહેતા હતા. મારાં લગ્ન 14 ઓક્ટોબર 1989માં થયા હતાં. લગ્નના ત્રણ મહિના થયા હતા ત્યારે જ કાશ્મીરમાં સ્થિતિ બેકાબૂ થઈ હતી.
વધુમાં કાશ્મીરી પંડિત પ્યારેલાલે જણાવ્યું હતું કે, ‘અમને કાફિર કહી ધુતકારતા હતા, તેમને મહિલાઓ જોતી હતી અમને કહેતા કે તમે લોકો મુસ્લિમ બનો, ભાગી જાવ અથવા મરી જાવ પણ કાશ્મીરને પંડિતોથી આઝાદી આપીશું. 1990માં સૌથી વધુ સ્થિતિ ખરાબ થઈ પરંતુ તેની શરૂઆત ખૂબ પહેલેથી થઈ ગઈ હતી. તાજેતરમાં જે ફિલ્મ આવી છે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ તેમાં જે મુખ્ય મહિલાને જાહેરમાં કાપી નાખવામાં આવે છે તે મારી પિતરાઈ બહેન છે. હકીકતમાં તેનું નામ ગિરજા ટીકુ હતું. તે કાશ્મીરમાં લેબ આસિસ્ટન્ટ હતી. 11 જૂન 1990માં કાશ્મીરના કુંપવાડા જિલ્લામાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી જાહેરમાં કાપીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.
પ્યારેલાલે કહ્યું કે, ‘કાશ્મીરમાં એ લોકો પંડિતો સહિતના હિંદુઓનું લિસ્ટ બનાવતા અને ક્રમ પ્રમાણે હત્યા કરતા હતા. મારું નામ પણ લિસ્ટમાં હતું મને જે-તે સમયે 23 ફેબ્રુઆરીના શિવરાત્રીને દિવસે મારવાના હતા પરંતુ મને આગલી રાત્રે જ જાણ થઇ જતા પત્ની સાથે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા, રાતોરાત એક ટ્રકમાં છુપાઈને અમે જમ્મુ પહોંચી ગયા અને હું બચી ગયો. કાશ્મીરી પંડિતો સહિત હિંદુઓની હત્યા કરીને તેમની લાશને ફરતે તેઓ નાચતા-જશ્ન માનવતા.
એક દિવસ અમારા ઘરની બારી જોર જોરથી ખખડી, મેં બારી ખોલી આતંકીએ મારા કપાળ પર જ ગન રાખી, હું ગભરાયો અને પાછળ જવા જતા પડી ગયો. પછી તેઓ ઘર પર ગોળીબાર કરી જતા રહ્યા. તાજેતરમાં જે ફિલ્મ રિલીઝ થઇ છે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ તેમાં 1% પણ ખોટું બતાવ્યું નથી, તમામ બાબતો-દૃશ્યો, સ્ટોરી હકીકત દર્શાવી છે, પરંતુ ફિલ્મમાં જે બતાવ્યું છે એ માત્ર 5% જ છે. અમે ત્યાં જે નજરે જોયું છે, જે દિવસો પસાર કર્યા છે તે જોઈ શકાય કે કહી શકાય એવા નથી. ‘90માં જે થયું તે હકીકત બતાવવા તો 10 કલાકની ફિલ્મ પણ ટૂંકી પડે.’
તેઓએ વધુમાં જણાવ્યું કે, જાહેરમાં મહિલાઓના રેપ થતા, કાપી નાખી હત્યા કરવામાં આવતી, બાળકોને પણ છોડતા નહીં. કેટલાકને આંખોએ ગોળી મારતા આ બધું ખૂબ દર્દનાક હતું, કંપારી છૂટી જાય એવું હતું હજુ પણ યાદ કરતા નજર સામે દૃશ્ય ખડું થઇ જાય. આખરે સરકારે કલમ 370 અને 35(A) નાબૂદ કરી રાહત આપી. 2019 સુધી અમે જમ્મુમાં હતા, પુત્ર એન્જિનિયરિંગ કરવા રાજકોટ આવ્યો એટલે અમે રાજકોટ શિફ્ટ થયા.’