ઊંઝા: ઉમિયામાતાના આંગણે ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં લાખો ભક્તો રોજ દર્શને આવીને પ્રસાદનો લ્હાવો લઈ રહ્યા છે. ભક્તો માટે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જમવા માટે અલગ-અલગ મંડપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રસોડામાં માટે એક અલગ મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં શાક દાળ-ભાત, લાડુ વગેરે બનાવવામાં આવે છે. આ આયોજનમાં રોટલી બનાવવાનું મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દિવસે ભક્તોની સેવામાં ખડેપગે રહેતાં 50 હજાર સેવકોના રાતના જમણવારમાં રોટલી બનાવવા માટે આ રોટલી મેકર મશીન લાવવામાં આવ્યું છે. રોટલી મેકર 10-12 હજાર રોટલી, ભાખરી, પરોઠા અને બાજરાના રોટલા બનાવે છે. આ રોટલીના મશીન સાથે લોટ બાંધવાના બે બીજા નાના મશીન છે. જે કલાકના 25-30 કિલો લોટ બાંધે છે. લોટ બંધાયા બાદ તેને મોટા મશીનમાં નાંખવામાં આવે છે. જેમાં રોટલી, ભાખરી, પરોઠા કે રોટલા આપોઆપ બનીને તૈયાર નીકળે છે. એટલું જ નહીં રોટલીમાં ઘી પણ ચોપડાય જાય છે. આ મશીન પંજાબથી વસાવવામાં આવ્યું છે. તેમજ તેની અંદાજે 25-30 લાખ રૂપિયા કિંમત છે.
પાંચ દિવસ સુધી ચાલશે મહાયજ્ઞઃ
ઊંઝામાં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ 800 વીઘા જમીનમાં થયો છે, જેમાં 25 વીઘામાં યજ્ઞશાળા, 67 વીઘામાં ભોજનશાળા, 25 વીઘામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, 25 વીઘમાં ક્રાફટ સ્ટોલ, 20 વીઘામાં ઓદ્યૌગિક સ્ટોલનું પ્રદર્શન, 18 વીઘમાં બાળનગરી તથા 305 વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે પાંચ દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં રોજ ચારથી પાંચ લાખ લોકો આવશે. આ તમામની ભોજન વ્યવસ્થાથી માંડીને પાર્કિંગ વ્યવસ્થા તમામ સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
17 લાખ નંગ લાડુ બન્યા
ભોજન માટે અન્નપૂર્ણા કમિટીની રચના કરવામાં આવી છે. 17 લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જો ધારણા કરતાં વધુ લોકો આવે એટલે પ્રસાદ ના ખૂટે તે માટે બુંદી અને મોહનથાળની પણ તૈયારી કરવામાં આવી છે. પાંચ દિવસ રોજ 250 રસોઈયા દિવસ-રાત ભોજન બનાવશે. શાકભાજી પહેલેથી સમારીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોટલી તથા ભાખરી માટે મશીનો છે.
50 હજાર સ્વંયસેવકો
એક અંદાજ પ્રમાણે પાંચ દિવસમાં 40 લાખ જેટલા લોકો આવવાના છે અને તે માટે 50 હજાર સ્વંયસેવકો હાજર રહેશે. આ આખા મહાયજ્ઞનું સફળ આયોજન કરવા માટે 40 જેટલી કમિટીની રચના કરવામાં આવે છે.