જેમની આગાહીનું આખું ગુજરાત રાહ જુવે છે એ અંબાલાલ પટેલ કોણ છે? કયા આધારે કરે છે આગાહી?

અંબાલાલા દામોદરદાસ પટેલ. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે આ નામથી પરીચત નહીં હોય. લોકો અંબાલાલને તેમના નામથી ઓળખે છે પરંતુ તેમના પરિવાર વિશે વધારે વિગત જાણતા નથી. તેમનો જન્મ ક્યા થયો તેમના પરિવારમાં કોણ કોણ છે એ સહિતની વિગતો બહુ ઓછા લોકોને ખબર છે.

અંબાલાલ પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી છે. હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજો દીકરો સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે.

અંબાલાલનાં પત્નીનું કોરોનાને કારણે થોડા સમય પહેલાં અવસાન થયું હતું. અંબાલાલ પટેલ હાલ ગાંધીનગરમાં રહે છે. તેમના ઘરમાં પુસ્તકનો ઢગલો છે. અંબાલાલ પટેલનો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ઓળખ મળી છે.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. સાથે જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું.

અંબાલાલ પટેલનો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલા પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. ત્યાર બાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બાદમાં જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા હતા.

અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવામાનની આગાહી સાથે સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી. એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી. અંબાલાલ પટેલની ભૂકંપની અગાહીને લઈ સરકાર દોડતી થઈ ગઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદમાં અંબાલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

Similar Posts