વડોદરાઃ આસમના સિલિગુડી પાસે ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર શહીદ સંજય સાધુને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યાં હતા. તેના પરિવારજનોના જણાવ્યા મુજબ આજે સવારે સ્મશાનયાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળીને પંચવટી, સહયોગ, આઈટીઆઈ ગોરવા થઈને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.
વડોદરાના સંજય સાધુ આસામમાં શહીદ થયા હતા જેમની આજે અંતિમ યાત્રા નીકળી છે. જોકે એક દિવસ પહેલાં જ જિલ્લા કલેક્ટર શાલીન અગ્રવાલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે શહીદ જવાનના પરિવારજનોની મુલાકાત લીધી હતી. જ્યાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરે પરિવારનો સાંત્વના આપી હતી. તે દરમિયાન શહીદ જવાનની પુત્રી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી તે દરમિયાન કલેક્ટર અને પોલીસ કમિશ્નર ભાવુક થઈ ગયા હતાં.
શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડી રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો સંજય સાધુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા એરપોર્ટ પહોંચી ગયા હતા. એરપોર્ટ પર તેમની શહાદતને બિરદાવવામાં આવી અને શહીદ તુમ અમર રહોના નારાથી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. બીએસએફ દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.