સુરત: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો નેતા હતો ત્યારે તેને સૌથી વધુ સમર્થન સુરતના પાટીદાર આંદોલનકારીઓનું મળ્યું હતું. સુરતના પાટીદારોએ હંમેશા હાર્દિક પટેલનો સાથ આપ્યો હતો. હાર્દિક જ્યારે જેલમાં હતો ત્યારે સુરતના પાટીદારોએ અનેક સભાઓ, રેલીઓ કરીને સરકાર પર દબાણ લાવવા પ્રયાસો કર્યાં હતા. પરંતુ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો ત્યારથી તેની નિયત બદલાઈ ગઈ છે.
આજે સુરતનો આંદોલનકારી અલ્પેશ કથીરિયા જેલમાં છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરતમાં ફરકતો પણ નથી જેથી પાટીદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરતના નિસ્વાર્થ આંદોલનકારીએ હાર્દિકને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે. હાલ તો આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સુરતમાં ‘હવે એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશું’ એવું પત્રમાં લખવામાં આવ્યું છે.
સુરતના યુવકોમાં હાર્દિક પ્રત્યે રોષ વધી રહ્યો છે. વાયરલ પત્રિકાને લઈ અનેક ચર્ચાઓ જાગી છે. લોકસભાની ચૂંટણી વખતે તેમને થપ્પડ પણ મારવામાં આવી હતી તો જ્યારે સુરતના ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના દરમિયાન હાર્દિક પટેલ ત્યાં આવ્યો હતો ત્યારે પણ પાટીદાર યુવકે તેનો કોલર પકડીને થપ્પડ મારવાની કોશિશ કરી હતી.