વડોદરાઃ આસમના સિલિગુડી પાસે ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર શહીદ સંજય સાધુને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યાં હતા. તેના પરિવારજનોના જણાવ્યા મુજબ આજે સવારે 9 વાગ્યે સ્મશાનયાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળીને પંચવટી, સહયોગ, આઈટીઆઈ ગોરવા થઈને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.
શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડી રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો સંજય સાધુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા એરપોર્ટ પહોંચી ગયા હતા. એરપોર્ટ પર તેમની શહાદતને બિરદાવવામાં આવી અને શહીદ તુમ અમર રહોના નારાથી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. બીએસએફ દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી. ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો.